angat mantri - Free-verse | RekhtaGujarati

ગરુડે ચડીને ઊડ્યા વિષ્ણુ ભગવાન

(વાત છે ત્યારની વીઆઈપીને ન્હોતાં મળતાં વિમાન)

ગરુડે ચડીને આવ્યા વૈકુંઠવાસી,

પદ નહિ પણ પંખ-યાત્રા કરતા પ્રવાસી,

હિમાદ્રીને શિખરે શિખરે

જટા જેવી જ્યાં નદીઓ વીખરે

વેરતાં ફૂલ. આવ્યા માનસ પાસ,

પાળમાં જેની સંઘરાયો પ્રકાશ.

આવ્યા માનસ પાસ,

સ્નાન કર્યું.

ફરી વીંઝતું ગરુડ સર્યું

તરલ નાવ-શું આભના ઊંધા સાગરે.

પહોંચ્યા જેવા કૈલાસના પાદરે,

ધ્યાન ફેંકી દઈ ઊઠ્યા શિવ

(નાગના હારથી સુગ્રીવ);

ભેટ્યા પ્રભુને, પાથર્યું વ્યાઘ્રચર્મ.

સોમ મગાવ્યો જાણી યજમાનનો ધર્મ.

અલકમલકની વાતો કરતાં,

ટીખળ કરીને મનડાં હરતાં,

આવ્યા મુદ્દાની વાત:

‘કેવી દેવની નાત!

સ્વર્ગમાં શાંતિ કેમ સ્થપાય?’

આમ બે પ્રભુઓ જ્યાં શિખર પરિષદે તલ્લીન થાય,

ત્યાં લાગ સાધીને નાગ ઉઠાવે ફેણ

ગરુડજીને કહેવા તું–તાનાં વેણ:

‘ચાંચ વાંકી ને પાંખમાં કાણાં,

ન્હોરમાં તારા મેલના દાણા,

અહીંથી આઘો ખસ,

ઊડણપાવડીને, અંગત મંત્રીને

છાજતો મોટાની વાતમાં રસ!’

આંખ વીંચી એક, ગરદન તોળી

આમ બોલ્યા ગરુડ:

“બાપલા માફ કરો હું મૂઢ,

એકલા કો' દી મળશું આપણે

કેતકી ફૂલની કાતિલ પાંપણે,

વિષ્ણુ વિના હું ને આપશ્રી રુદ્ર વિના;

જોશું પછી શી બનશે બીના.”

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007