kawinun wasiyatnamun - Free-verse | RekhtaGujarati

કવિનું વસિયતનામું

kawinun wasiyatnamun

સુરેશ જોષી સુરેશ જોષી
કવિનું વસિયતનામું
સુરેશ જોષી

કદાચ હું કાલે નહીં હોઉં

કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે

મારી બિડાયેલી આંખમાં

એક આંસુ સૂકવવું બાકી છે;

કાલે જો પવન વાય તો કહેજો કે

કિશોર વયમાં એક કન્યાના

ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ

હજી મારી ડાળ પરથી ખેરવવું બાકી છે;

કાલે સવાર છલકે તો કહેજો કે,

મારા હૃદયમાં ખડક થઈ ગયેલા

કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે;

કાલે જો ચન્દ્ર ઊગે તો કહેજો કે

એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા

એક મત્સ્ય હજી મારામાં તરફડે છે;

કાલે જો અગ્નિ પ્રકટે તો કહેજો કે

મારા વિરહી પડછાયાની ચિતા

હજી પ્રગટાવવી બાકી છે

કદાચ હું કાલે નહીં હોઉં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 346)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004