are koi to - Free-verse | RekhtaGujarati

અરે કોઈ તો

are koi to

જગદીશ જોશી જગદીશ જોશી
અરે કોઈ તો
જગદીશ જોશી

હું એકાગ્ર ચિત્તે વાંચું છું

સામેની બારીનો રેડિયો

મારા કાનમાં કઈક ગર્જે છે.

દીવાલ પરનું ઇલેકિટ્રક ઘડિયાળ

વર્તમાન સાથે ઘસાતું ચાલે છે.

ટ્યૂબલાઈટનું સ્ટાર્ટર

તમરાંનુ ટોળું થૈ કણસ્યા કરે છે.

ઉઘાડા પડેલા દરવાજાની ઘંટી

ડચકાં ભરતી ભરતી રણકે છે.

ઘરનો નોકર દૂધવાળા જોડે

અફવાઓની આપલે કરે છે

પડોશણનો અપરિચિત ચહેરો

કુથલીના ડાયલ ફેરવે છે.

રસ્તા પરનો નાહકનો ઝઘડો

બારી વાટે મારા ઘરમાં પ્રવેશે છે.

ઓચિંતો ફ્યુઝ જતાં, લાઇટ

અંધારું થઈને પથરાઈ જાય છે.

મારો આખો માળો અંધરોધબ.....

નીચલે માળથી વ્યાસ બૂમ પાડે છે:

“કાલીદાસ! તુકારામ! અલ્યા નરસિંહ!

અરે, કોઈ તો

ઇલેકિટ્રશિયનને બોલાવે!”

બાજુવાળાં મીરાંબેન સ્વસ્થ અવાજે કહે છેઃ

“અરે ગિરિધર! સાંભળે છે કે, -

પહેલાં મીણુબત્તી તો લાવ....’

અને -

મારી ચાલીમાં

મારા માળામાં

મારા ઘરમાં

મારા દેશમાં

મીણબત્તીની શોધાશોધ ચાલે છે....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983