Read Online Gujarati Kunvarbainu Mameru eBooks | RekhtaGujarati

કુંવરબાઈનું મામેરું

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

નરસિંહ મહેતા લેખક પરિચય

નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈ.સ. 1408માં નાગર બ્રાહ્મણ કૃષ્ણદાસ મહેતા અને માતા દયાકોરબેનને ત્યાં થયો હતો. નાની ઉંમરે માતા-પિતાના ગુજરી જવાથી ભાઈ-ભાભીને આશ્રિત રહેવું પડેલું. દંતકથા મુજબ ભાભીએ મહેણું મારતાં આત્મજાગૃતિ થઈ હોઈ ગૃહને ત્યાગી તપ થકી મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવે તેમને કૃષ્ણની રાસલીલાનાં દર્શન કરાવ્યાં. ગોકુળ, મથુરા, વગેરે સ્થળોએ ફરીને આવીને તેમણે સંવત 1433-35માં જૂનાગઢમાં રહી કીર્તનો રચવા માંડ્યાં. નાગર જેવી ઉચ્ચ જાતિના હોવા છતાં અછૂતોના વાસમાં જઈ ભજનો ગાનાર અને આખ્યાનો કરનાર સમાજસુધારક કહી શકાય તેવા વિરલ વ્યક્તિ હતા. તેમનો દેહવિલય ઈ.સ. 1480માં માંગરોળમાં થયો હોવાનું મનાય છે.

ગુજરાતી સાહિત્યના મધ્યકાલીનયુગના પ્રતિનિધિ, પ્રેમલક્ષણા ભક્તિપરંપરાના ઉદ્‌ગાતા એવા નરસિંહ મહેતા મુખ્યત્વે દેશી ઢાળમાં રચાયેલ તેમનાં ગેય પદો થકી જાણીતા છે. તેમની કૃતિઓની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ.સ. 1612માં મળે છે. જોકે, નરસિંહની ગણાતી રચનાઓ અંગે આજ સુધી મળતી હસ્તપ્રતોને ધ્યાનમાં રાખીને કર્તૃત્વનો પ્રશ્ન તપાસવાનો હજુ બાકી છે. નરસિંહ મહેતાના ગણાતા સમગ્ર સાહિત્યને ચાર વિભાગમાં જોઈ શકાય : 1) આત્મકથનાત્મક : પુત્રનો વિવાહ, મામેરું, હૂંડી, હાર સમેનાં પદ, ઝારીનાં પદ, હરિજનોને અપનાવ્યાનાં પદ; 2) અન્ય આખ્યાનકલ્પ : ચાતુરીઓ, સુદામાચરિત્ર, દાણલીલા; 3) કૃષ્ણપ્રીતિનાં ઊર્મિગીતો : શૃંગારપ્રીતિનાં ઊર્મિગીતો. વાત્સલ્યપ્રીતિનાં ઊર્મિગીતો; 4) ભક્તિજ્ઞાનનાં ઊર્મિગીતો.

‘પુત્રનો વિવાહ’, ‘મામેરું’, ‘હૂંડી’, ‘હાર સમેનાં પદ’, વગેરે આત્મકથનાત્મક રચનાઓ, સ્વકથા કહેવાની ઊલટ કરતા વિશેષત: પ્રભુની પ્રભુતા પ્રગટાવતી ભક્તિવૃત્તિના ફુવારારૂપે ઝૂલણા છંદમાં નિર્માઈ છે. આ ચારે કૃતિઓને અનુગામી કવિઓએ ઉપાદાન તરીકે વાપરીને તે તે પ્રસંગ મમળાવીને રચનાઓ કરી, જે સ્પષ્ટ રીતે આખ્યાન પ્રકારની છે. નરસિંહની રચનાઓ પદોની માળા જેવી, આખ્યાનકલ્પ હતી. ‘પુત્રનો વિવાહ’ અને ‘મામેરું’ આખ્યાનના આકારમાં ઢળાવા કરતાં હોય એમ જોઈ શકાય છે. જયદેવના ‘ગીતગોવિંદ’થી નરસિંહ સુપરિચિત હોવાથી ‘ચાતુરીઓ’માં એનું સ્પષ્ટ અનુરણન છે. ‘ચાતુરી છત્રીસી’ અને ‘ચાતુરી ષોડશી’માં કૃષ્ણ-રાધાના વિરહ અને મિલનના પ્રસંગ છે. નરસિંહમાં એક બાજુ જયદેવ જેવી સંભોગશૃંગારતાની સ્થૂળતા તો બીજી બાજુ જયદેવ કરતાં વધુ બુલંદપણે પણ મુખ્યત્વે પ્રેમતત્ત્વને ખીલવનારા ચંડીદાસ-વિદ્યાપતિ કરતાં પણ વધુ સ્ફુટપણે ભક્તિનું તત્ત્વ પ્રગટ થાય છે. નરસિંહની આરંભની કવિતા ભલે જયદેવ-રંગી હોય, એને પ્રેમભક્તિની ઉચ્ચતર–શુચિતર અલૌકિક ભૂમિકા સુસાધ્ય છે. ભાલણ પૂર્વે જેમાં આખ્યાનકવિતાનો અરુણોદય જોઈ શકાય એવા ‘સુદામાચરિત્ર’ નામક સુરેખ સપ્રમાણ આખ્યાનકમાં નવ પદોમાં સુદામાની કૃષ્ણ પ્રત્યેની મૈત્રીને કેન્દ્રમાં રાખી સુદામાના મૂળ ભાવબિંદુઓને ઉપસાવી પ્રબંધઔચિત્ય દાખવી ગુજરાતી ભાષાને ગણનાપાત્ર કૃતિ આપી છે. ઝૂલણાનાં નવ પદનું ‘સુદામાચરિત્ર’ કેદારા રાગમાં ગવાવાના નિર્દેશને લીધે ‘સુદામાજીના કેદારા’ નામે પણ જાણીતું થયું છે. નરસિંહે આ આખ્યાનકલ્પ રચનામાં ભાગવતઆધારિત સુદામાની કથાનાં મુખ્ય ભાવબિંદુઓને ઉઠાવ મળી રહે એ રીતે રજૂઆત કરી છે. ‘દાણલીલા’ નરસિંહની કાવ્યશક્તિનો સુભગ પરિચય કરાવતું 78 કડીનું કથનાત્મક કાવ્ય છે. એ રીતે ‘હારમાળા’, ‘ગોવિંદગમન’, ‘સુરતસંગ્રામ’ પણ નોંધનીય છે.

‘શ્રીકૃષ્ણજન્મ વધાઈનાં પદ’, ‘કૃષ્ણજન્મ સમાનાં પદ’, અને ‘બાળલીલા’ આદિ કૃષ્ણ વાત્સલ્યપ્રીતિનાં પદો છે. ‘શ્રીકૃષ્ણજન્મ વધાઈનાં પદ’ અંતર્ગત શ્રીકૃષ્ણના જન્મના આનંદોત્સવને વર્ણવતાં દસેક પદો પ્રાપ્ત થાય છે. ‘બાળલીલા’માં કવિએ કૃષ્ણની બાળલીલા દ્વારા માનવીય માધુર્ય અને પરમાત્મમહિમાને સુપેરે પ્રગટ કર્યાં છે. ‘રાસસહસ્રપદી’, ‘શૃંગારમાળા’, ‘વસંતનાં પદ’, અને ‘હિંડોળાનાં પદ’ શીર્ષક અંતર્ગત પ્રાપ્ત થતાં શૃંગારવિષયક પદોમાં ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં વિભિન્ન રીતે ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો રતિભાવ પ્રગટ થયો છે. તેમનું ‘વૈષ્ણવજન તો..’ ગાંધીજીનું પ્રિય ભજન હતું. તો અધ્યાત્મજીવન અંગે સામાન્ય જ્ઞાનઉપદેશ આપતાં અને પરમજ્ઞાનની ભૂમિકાની ઝાંખી કરાવતાં જ્ઞાનભક્તિવૈરાગ્યનાં પણ 66 જેટલાં પદો આપ્યાં છે. કવિના જીવનના ઉત્તરાર્ધમાં રચાયાં હોવાની સંભાવના ધરાવતાં આ પદોમાં એમણે જ્ઞાન અને ભક્તિમહિમાને પ્રશસ્ય પ્રૌઢિથી નિરૂપ્યાં છે. કારકિર્દીના અંતભાગમાં તેઓ અદ્વૈતાનુભવના ગાન તરફ વળ્યા તેમાં નામદેવનો આડકતરો પ્રભાવ જણાય છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ જણાવે છે, “નરસિંહની શબ્દસૃષ્ટિ વારંવાર રસઘનતા અને ભવ્યતાનો અનુભવ કરાવે છે. કવિ પાસે લયસૂઝ પણ ખૂબ ઊંડી છે. લય-વૈવિધ્યવાળી કર્ણગોચર ને શ્રુતિગોચર અનેક આકર્ષક ધ્રુવપંક્તિઓ, પ્રાસાનુપ્રાસયુક્ત સમુચિત શબ્દવિન્યાસથી નિષ્પન્ન થતું શબ્દમાધુર્ય, લલિત કે ભવ્ય ભાવોને લીલયા મૂર્ત કરી શકે એવું અનવદ્ય ભાષાકૌશલ ઇત્યાદિથી કવિનાં અનેક પદો ઊંચા કાવ્યગુણવાળાં અને આસ્વાદ્ય બન્યાં છે. નરસિંહનો કાવ્યપિંડ ભક્તિનો બન્યો છે. નરસિંહનાં શૃંગારપ્રીતિનાં અને ભક્તિજ્ઞાનનાં પદોમાં સરળ રસઘન વાણીનો આહ્લાદક પરિચય થાય છે અને આનંદઘન અનુભૂતિનો સ્પંદ વરતાયા કરે છે.”

ઇચ્છારામ સૂ. દેસાઈસંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ પછી અત્યાર સુધી પ્રગટ થયેલા નરસિંહના સાહિત્યમાં નરસિંહના આજીવન અભ્યાસી કેશવરામ કાશીરામ શાસ્ત્રીસંપાદિત (1) ‘નરસૈ મહેતાનાં પદ’ (208 નવાં પદો સાથે) (1965), (2) ‘નરસિંહ મહેતાકૃત આત્મચરિતનાં કાવ્યો’ (ઝારી, વિવાહ, મામેરું, હૂંડી, હા2) (1969) (3) ‘નરસિંહ મહેતાકૃત ચાતુરી’ (1949) એ હસ્તપ્રતોને આધારે તૈયાર કરેલી વાચનાઓ છે, સિવાય કે ‘ઝારી’નાં ચાર પદો, જે કેશવરામ શાસ્ત્રીએ ઇચ્છારામ સૂ. દેસાઈસંપાદિત ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ'માંથી આપ્યાં છે. કનૈયાલાલ મુનશીએ ‘નરસૈંયો ભક્ત હરિનો’ નામે જીવનચરિત્ર લખ્યું છે.

નરસિંહ મહેતાના જીવન પરથી નાનુભાઈ વકીલ દિગ્દર્શિત ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર ‘નરસિંહ મહેતા’ (1932) ગાંધીજીના પ્રભાવને લીધે ચમત્કારરહિત બનાવવામાં આવ્યું હતું. જ્યારે વિજય ભટ્ટે 1940માં બનાવેલા દ્વિભાષી ચલચિત્રમાં, જે હિંદીમાં ‘નરસી ભગત’ અને ગુજરાતીમાં પણ ‘નરસી ભગત’ નામે રજૂ થયું હતું, તેમાં ચમત્કારોનો સમાવેશ હતો અને મહેતાના જીવનને ગાંધીજીના જીવન સાથે સરખાવ્યું હતું. નિર્માતા નંદુભાઈ શાહે મૂળરાજ રાજડાના દિગ્દર્શનમાં ‘નરસૈંયો’ (1991) નામે ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત કરી હતી. 1999થી આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની સ્મૃતિમાં નરસિંહ મહેતા ઍવૉર્ડ આપવામાં આવે છે.

પ્રેમાનંદ લેખક પરિચય

મધ્યકાળના મોટા ભાગના ગુજરાતી કવિઓ વિશે, તેમના જીવન સંદર્ભે આધારભૂત માહિતી અલ્પપ્રમાણમાં જ મળી આવે છે. નરસિંહ મહેતાએ જે પ્રમાણે ‘હૂંડી’, ‘શ્રાદ્ધ’, ‘શામળશાનો વિવાહ’, અને ‘હારમાળા’ જેવી આત્મકથાનાત્મક કૃતિઓમાં પોતાના જીવનવિષયક માહિતીનો ઉલ્લેખ કરેલો મળી આવે છે, તે પ્રમાણે કવિ પ્રેમાનંદ પણ પોતાની ઘણીખરી આખ્યાનકૃતિઓમાં પોતાના જીવનનો અલ્પપ્રમાણમાં જ પરિચય કરાવે છે. આ કવિ પોતાના જીવન વિશે, પોતાની કાવ્યકૃતિઓમાં પરિચય આપતાં જણાવે છે કે,

“વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામજી, ચતુર્વિંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી.”

પ્રેમાનંદનો જન્મ આશરે ઈ.સ. 1650-51ના રોજ વડોદરામાં ચોવિસા મેવાડા બ્રાહ્મણ કૃષ્ણરામ ભટ્ટને ત્યાં થયો હતો. માતા-પિતાનું અલ્પવયે અવસાન થતાં તેમનો ઉછેર મોટા ભાગે મોસાળમાં થયો. વડોદરાના મહમદવાડીમાં ‘પ્રેમાનંદ કવિનાં ઘર તથા કૂવો’ છે. એ પોળનું નામકરણ ‘પ્રેમાનંદ કવિની પોળ’ એમ કરવામાં આવ્યું છે. પંદર વર્ષની વયે ગુરુ રામચરણના સંસર્ગમાં હિન્દી–સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરી, જુદાં જુદાં સ્થળે પરિભ્રમણ કરતા રહી પ્રેમાનંદે પચીસ-સત્તાવીસ વર્ષની વયે કારકિર્દીનાં મંડાણ કરતાં ઉદર નિમિત્તે આખ્યાન લખી, કથાપ્રસંગોનું પઠન-ગાયન તેમ જ માણ ઉપર હાથથી તાલ આપીને સાભિનય રજૂઆત દ્વારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતાં. નંદનબારમાંથી પણ તેમને રાજપ્રોત્સાહન સાંપડેલું. વ્યાપક પરિભ્રમણને કારણે, એમણે જાત જાતના અને ભાત ભાતના લોકોના પરિચયમાં આવવાનું થયું હોઈ સમય જતાં જીવનના અનુભવની જે વાસ્તવિક મૂડી તેમની પાસે હતી, તે સમય આવ્યે સર્જનશક્તિ સ્વરૂપે ઝડપથી ગજું કાઢવા લાગી. જીવનનિર્વાહ માટે એમણે ‘માણભટ્ટ’ ઉપનામ ધારણ કરી શિક્ષિત-અશિક્ષિત એમ વ્યાપક વર્ગનું મનોરંજન કર્યું. કથાકારના વ્યવસાયમાં રહી, મધ્યકાલના સમયમાં ધર્મક્ષેત્રે નવચેતન લાવી, હિન્દુ ધર્મને જીવંત કરવાના પ્રયાસો આ કવિમાં રહેલા છે. તેમના સમયના મુઘલ રાજા અને ગુજરાત પ્રદેશના શાસક ઔરંગઝેબ તેમને ‘મહાકવિ પ્રેમાનંદ’ કહીને બોલાવતા. ઈ.સ. 1714 પછી તેમની કોઈ કૃતિ ન મળતી હોવાથી એ વર્ષને અંતિમ લેખતાં વિદ્વાનોએ પ્રેમાનંદનો જીવનકાળ સત્તરમા શતકથી માંડીને અઢારમા શતકના પૂર્વાર્ધ સુધીનો ગણાવ્યો છે.

એવી દંતકથા સુલભ છે કે, પ્રેમાનંદે ગુજરાતી ભાષાની અવગણના થતી જોઈ અન્ય ભાષાની સરખામણીમાં જ્યાં સુધી ગુજરાતી ભાષાનું વિશેષ મહત્ત્વ ન અંકાય ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધેલી. તો શામળ અને પ્રેમાનંદની કથાકાર બાબતે થયેલ ઝઘડાની દંતકથા પણ છે.

મધ્યકાળના મોટા ભાગના કવિઓએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યની સાથે સાથે જીવનના ઉલ્લાસનું ગાન પણ કરેલું છે. આ સિવાય પણ જોવા જઈએ તો મધ્યકાળના પ્રમુખ સ્વરૂપ આખ્યાનનો જે પ્રારંભ થયેલો અને ક્રમશ: આખ્યાનલેખનનો વિકાસ થતો ગયો તેમાં ભાલણ, નાકર કે કવિ પ્રેમાનંદે આખ્યાનનું મૂળ વિષય-વસ્તુ મહાભારત, રામાયણ, ભગવદ્‌ગીતા, પુરાણ જેવા પૌરાણિક ધાર્મિક ગ્રંથોમાંથી જ લીધેલું છે. બ.ક. ઠાકોરના શબ્દોમાં કહીએ તો, “ગુજરાતનો હિંદુસમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ એ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું હતું”. સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં પ્રેમાનંદે પુરોગામી કવિઓની તુલનામાં અપવાદ બાદ કરતાં અનવદ્ય સર્વાંગસુંદર આખ્યાન આપ્યાં છે. જેમાં નિઃશંક તેમની કહી શકાય તેવી કૃતિમાં ‘ઓખાહરણ’ (ઈ.સ. 1666-69), ‘અભિમન્યુઆખ્યાન’ (ઈ.સ. 1671), ‘ચંદ્રાહાસાખ્યાન’ (ઈ.સ. 1671), ‘મદાલસાઆખ્યાન’ (ઈ.સ. 1672), ‘હૂંડી’ (ઈ.સ. 1677), ‘શ્રાદ્ધ’ (ઈ.સ. 1681), ‘સુદામાચરિત્ર’ (ઈ.સ. 1682), ‘મામેરું’ (ઈ.સ. 1683), ‘સુધન્વાઆખ્યાન’ (ઈ.સ. 1684), ‘રુક્મિણીહરણ’ (ઈ.સ. 1684), ‘નળાખ્યાન’ (ઈ.સ. 1686), ‘રણયજ્ઞ’ (ઈ.સ. 1690) આદિ. પ્રેમાનંદ કથનકળામાં પ્રવીણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન, રસનિરૂપણ અને વાતાવરણચિત્રણમાં પણ કુશળ હતા. એમનાં આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષાશક્તિ અને રસનિરૂપણશક્તિનો મહત્ત્વનો ફાળો હતો. તો સ્વહસ્તલિખિત કૃતિઓમાં ‘સ્વર્ગની નિસરણી’, ‘ફૂવડનો ફજેતો’, ‘વિવેક વણઝારો’, ‘વિષ્ણુસહસ્રનામ’, ‘નચિકેતાઆખ્યાન’, ‘વામનકથા’, ‘શામળશાનો મોટો વિવાહ’, ‘દેવીચરિત્ર’, ‘વ્રજવેલ’, ‘વલ્લભઝઘડો’, ‘બાળલીલા’, ‘દાણલીલા’, ભ્રમરગીતા (નાની અને મોટી), ‘દશમસ્કંધ’, ‘પાંડવોની ભાંજગડ’, ‘મોટો દશમસ્કંધ’, ‘ભ્રમર પચીસી’, અને ‘મહિના’, ‘રાધિકાના દ્વાદશ માસ’ વગેરે ગણાવાઈ છે.

કવિની જે શંકાસ્પદ કૃતિઓ મળી આવે છે તેમાં ‘અષ્ટાવક્રાખ્યાન’, ‘ઋષ્યશૃંગાખ્યન’, ‘તપત્યાખ્યાન’ (નાટક), ‘લક્ષ્મણાહરણ’, ‘ડાંગવાખ્યાન’, ‘દ્રૌપદીસ્વયંવર’, ‘દ્રૌપદીહરણ’, ‘નરસિંહના પુત્રનો વિવાહ’, ‘પાંડવાશ્વમેધ’, ‘પાંચાલી પ્રસન્યાખ્યાન’ (નાટક), ‘બભ્રુવાહન આખ્યાન', ‘ષષ્ટમસ્કંધ’, ‘ભાગવત સપ્તમસ્કંધ’, ‘અષ્ટમસ્કંધ’, ‘ભીષ્મપર્વ’, ‘રેવાખ્યાન’, ‘કૃષ્ણવિષ્ટિ’, ‘વટપતન’, ‘અભિમન્યુનો ચક્રાવો’, ‘લવકુશાખ્યાન’, ‘સુરેખાહરણ’, ‘જ્ઞાનગીતા’, ‘રઘુવંશ’, ‘કપિલગીતા’, ‘નાગદમન’, ‘માર્કણ્ડેયપુરાણ’, ‘માધવાખ્યાન’, ‘સત્યભામા રોષદર્શિતાખ્યાન’ (નાટક), ‘લક્ષ્મણાહરણ’, ‘વિરાટપર્વ’, ‘સભાપર્વ’, ‘સુભદ્રાહરણ’, અને ‘હારમાળા'.

આમ, નિસર્ગદત્ત પ્રતિભા, લોકજીવનનો બહોળો અનુભવ, માનવમનનાં ઊંડાણો તાગવાની શક્તિ, ગુજરાતી લોકભાષા પર આમૂલ પકડ, સ્થાનિક રંગો, સહજ છતાં પ્રબળ કથનકલા, તાદૃશ્ય વર્ણન, રસવ્યત્યય અને નિરૂપણપ્રભુત્વ આદિ કાવ્યગુણો એમને મહાકવિ ગણાવવા પ્રેરે છે.

1916માં વડોદરા ખાતે સ્થપાયેલ સાહિત્યસંસ્થા વડોદરા સાહિત્ય સભા, જેનું 1944થી પ્રેમાનંદની સ્મૃતિમાં ‘પ્રેમાનંદ સાહિત્ય સભા’ એવું નામકરણ થયું. આ સંસ્થા દ્વારા 1983-2015 લગી દર 2 વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને ‘પ્રેમાનંદ સુવર્ણચંદ્રક’થી નવાજવામાં આવ્યા હતા.