હરિ ભજવાનું ચોઘડિયું તે
Hari bhajavanu choghadiyu te
કલ્યાણદાસ
Kalyandas
કલ્યાણદાસ
Kalyandas
હરિ ભજવાનું ચોઘડિયું તે, ફરી ફરી ક્યાં મળશે રે;
ચોંપ કરીને ચેતી લેજે, ભવનાં તારણ તરશો રે. હરિ૦
મનુષા દેહ તો મટી જશે, ને પશુ પંખી અવતરશો રે;
વરણાગીમાં વાટ ઊઠશે, કેઈ ખાઈ રડવડશો રે. હરિ૦
મનુષા દેહ પામીને જે કોઈ, હરિ ભજે તે બળિયો રે;
માયાની મમતાને છાંડી, સુખ સન્માર્ગ કળિયો રે. હરિ૦
દુઃખ લાગે તે પહેલું લાગે, ઊંધે ઊંધું ચાલ્યું રે;
માને ઉદર શું બોલ્યો’તો, શું બોલ્યો શું પાળ્યું રે. હરિ૦
જોબન જાશે ને જરા આવશે, નેન નાસિકા ગળશે રે;
સગાં સ્નેહી સુખનાં બેલી, અંતે અળગાં રહેશે રે. હરિ૦
હરિ નામ તો હારી બેઠો, વિષયામાં વીંટાયો રે;
ધોળે દહાડે ધજા બંધાવી, ચૌટામાં લૂંટાયો રે. હરિ૦
આ અવસર તો રૂડે કહાવે, પાપ ન કરશો પ્રાણી રે;
‘કલ્યાણ’ કહે તે કહ્યું ન માને, પથરા ઉપર પાણી રે. હરિ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ભજનસાગર: ભાગ ૧-૨ (પૃષ્ઠ ક્રમાંક 51)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
