એ તો નથી અળગો રે
Ae to nathi alago re
આદિતરામ
Aaditram
આદિતરામ
Aaditram
એ તો નથી અળગો રે, ઘનશ્યામ છે ઘટમાં
શ્રી ભાગવત ભાખે રે, વળી શાસ્ત્રો ખટમાં – એ તો નથી૦
સ્થૂળ સૂક્ષમ કારણ મહા કારણ, ત્યાં લગી ગુણનો થાપ;
અંતરજામી મા’લે એકલડો, કરી ક્ષણમાં વ્યાપ;
જાગશે તો જડશે રે, માધવ છે મઠમાં – એ તો નથી૦
જાગ્રત સ્વપન સુષુપ્તિ તુરિયા, અનુભવનું ઘર જોય;
સઘળે સૂત્રમાં પરમાત્મા રે, જીવ૫ણાને ખોય;
રહ્યો બ્રહ્મ વ્યાપી રે, જેમ તંતુ પટમાં – એ તો નથી૦
અંધારું અજ્ઞાન તણું જે, અર્ક ઉદે થયે જાય;
પ્રતિબિંબ બિંબમાં જે ભળે તેમજ, શિવમાં જીવ સમાય;
સંત શૂરાની રે, જે આવે ઓઝટમાં – એ તો નથી૦
તત્ત્વ વિચાર જ કરતાં દરસે, ત્રિકમજી તન માંય;
કહે ‘આદિતરામ’ વસ્તુ વિચારો, કલ્પિત જાણો કાય;
મથે જેમ પ્રગટે રે, અગ્નિ લાકડામાં – એ તો નથી૦
સ્રોત
- પુસ્તક : ભજનસારસિંધુ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : જીવરામ માંડણભાઈ પટેલ
- પ્રકાશક : જીવરામ માંડણભાઈ પટેલ
- વર્ષ : 1927
