Ashadh thi aaso - Barmasi | RekhtaGujarati

અસાડથી આસો

Ashadh thi aaso

રત્નો રત્નો
અસાડથી આસો
રત્નો

અસાડ આવ્યો હે સખી, કેમ કરિ કાઢું દન;

નાથ નમેરા થઈ રહ્યા, હૃદે પડ્યાં રે રતન.

અસાડો રે ઘન ઊલટ્યો, માગ્યા વરસે રે મેહ;

વીજલડી ચમકારા કરે, વ્હાલે દીધો રે છેહ.

મોરના શોર સોહામણા, દાદુર બોલે રે જોર;

કોયલડી ટૌકા કરે, નાવ્યા નંદકિશોર.

રાત અંધારી ઊડે આગિયા, દેખી ઝબકે રે મન;

દીવડો દીસે બિહામણો, નાવ્યા જગના જીવન.

લીલાં ચરણાં અવનીએ ધર્યાં, તરુવર ગેરગંભીર;

પંખીડે માળા રે ઘાલિયા, જ્યાં ત્યાં ભરિયાં રે નીર.

જોગીડા પણ પંથ પરહરી, બેઠા એક આસન;

રત્નાનો સ્વામી રે શામળા, આવો જગના જીવન. ઓધવજી રે૦

શ્રાવણ માસે સજ થઈ, દરપણ ન્યાળે અંગ;

તતક્ષણ તે ધરણી ઢળી, જાણે ડસ્યો ભુજંગ.

શ્રાવણ માસ સોહામણો હિંડોળાના રે દંન;

હિંચે તે ગોરી રાધિકા, ઘણું પીડે અનંગ.

સખિ રે સાહેલી સૌ મળી, જમુના જમુના નાવા રે જાય;

કેસરી તિલક સોહમણાં, કોમળ રંગ્યા રે પાય.

ગૌરી પૂજે સાહેલડી, કરમાં પુષ્પની માળ;

બીજા રે કરમાં કંકાવટી, મુખે શ્રીગોપાળ.

ચાર પહોર જાગરણ કરે, ગૌરી ગરબા રે ગાય;

રાત થોડી ને રમત ઘણી, રખે વહાણું રે વાય.

શ્રાવણે પાક્યો આંબલો, કોને કરીએ ભેટ;

રત્નાના સ્વામી રે શામળા, આડો જમુનાનો બેટ. ઓધવજી રે૦

ભાદરવે ભવન પંચમે, ખળકે હિંદોળાખાટ;

ચડે પુષ્પને પંખે પદ્મણી, જુવે વ્હાલાની વાટ.

ભાદરવો ભરપૂરમાં, ભલું જણાયે જોર,

ગગન વિશે કરે કાટકા, નાવ્યા નંદકિશોર.

ઉત્તરદેશથી ઉલટ્યો, થયો ઘોર અંધાર;

વીજલડી ચમકાર કરે, નાવ્યા નંદકિશોર.

પંચ રંગના આભમાં, મોટા તાણ્યા રે મચ્છ;

ચંપક વરણી રે રાધિકા, ચીર ભીંજાયે સ્વચ્છ.

નદીએ નીર ભર્યાં ઘણાં, નવ દીસે ઉતાર;

વેરણ જમુના પૂરે ચઢી, પિયુડો પેલે રે પાર.

બાળ્ય બધું સુખ દેહનું, જેનો નાથ નઠોર;

રત્નાના સ્વામી રે શ્યામળા, બળતી બોલું છું જોર. ઓધવજી, રે૦

આસોએ આશા હતી, મળવાની મનમાંય;

ઓધવજી ભલે આવિયા, વીરા થાઓ વિદાય.

દુ:ખના રે દહાડા વહી ગયા, આવ્યો આસો રે માસ;

સૌ કો સપરમે દહાડલે, વસે પોતાને વાસ.

નવ રે દહાડા ગયાં નોરતાં, નાવ્યા દશરા રે માંય;

મોટો ઓછવ દીવાળીનો, આવી કરજો ઇહાંય,

સખી સાહેલી સૌ મળી, હરિને લેવાને જાય;

આણે મારગ હરિ આવશે, ઉલટ અંગ માય,

ધનતેરસે ધન ધોઈને, સજ્યા સોળ શણગાર;

નયણે તે કાજળ સારિયાં, મળવા નંદકુમાર.

કોમળ કરમાં રે દીવડો, હઈડે હરખ અપાર;

હરિને નિહાળવા નીસરી, ઊભી આંગણાં બહાર.

મનના મનોરથ વહી ગયા, એકે સિધ્યું નહીં કાજ;

રત્નાના સ્વામી રે શામળા, દોહેલું કીધું છે રાજ. ઓધવજી રે૦

સ્રોત

  • પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998