tulsiparn - Sonnet | RekhtaGujarati

‘તાંબાલોટો ભરી તુલસીને પાણી પાયું ખરું કે?

જોજો પાછું ભૂલી નવ જતા વ્યર્થ જંજાળ આડે!

રે'શે મારાં તુલસી તરસ્યાં, પાંદડાં ઓસવાશે.

એકેય ના પરણ ચૂંટજો જીવતું છોડવેથી;

કૂંડામાં જે ખરી-ગરી પડ્યાં હોય તે માત્ર લેજો;

રાજી રે'શે પ્રભુ, ઝળહળશે દીપ સૌભાગ્યનો યે.’

નિત્યે માના મુખથી સ્ત્રવતા શબ્દ ભીના ભરેલા;

વૃંદા-વિષ્ણુ-પરિણય લિયે કાર્તિકે ધન્યતાથી.

ધ્રૂજે દીવો, અરવ કણસે ખંડ, લંબાય ઓળા;

મૂગું મૂગું ધસી રહ્યું કશું ભક્ષી લેવા પિતાને

સૂતેલા જે ક્ષીણ થઈ; બધે ડૂસકાં કૈં થીજેલાં.

અર્ધા ખુલ્લા જનકમુખમાં કંપતે હાથ માતા

મૂકે લીલું પરણ તુલસીનું ભીડી હોઠ સૂકા

આયુષ્ય જે ઉર સીંચી ઉછેરેલ તે છોડ કેરું!

સ્રોત

  • પુસ્તક : શબ્દનું સાત ભવનું લેણું છે (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009