shrii arvind - Sonnet | RekhtaGujarati

શ્રી અરવિંદ

shrii arvind

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
શ્રી અરવિંદ
હરીન્દ્ર દવે

સદેહે ના જોયા પણ સતત જેને અનુભવ્યા,

સમાધિસ્થાને જ્યાં શિર ધરી નમ્યા, આશિષ મળ્યા :

જે વાણી કેરું અમૃત મળ્યું, સંજીવન થઈ

સમાયું સારાયે નિખિલ મહીં–એ કેવી કરુણા!

કદી નેત્રોથી અરુણ પ્રગટ્યો જે અવનીમાં

પ્રકાશે છે વિશ્વે સતત, નવ અસ્તાચલ ગયો :

અમારાં અંગોમાં સ્ફુરણ નિત એનું જ, કિરણો

ઉગાડે છે વિશ્વે કમલવન કેવાં નિત નવાં!

કદી એણે લીધી સ્થિર ચરણથી દક્ષિણ દિશા,

ઘણાં પ્રશ્નોના પરમ ગતિમાં ઉત્તર મળ્યા!

કૃપાની વર્ષા વરસી, નવ કો આવરણ ત્યાં,

અને સૌને કાજે સુલભ કરી પ્રચ્છન્ન પ્રભુતા!

હવે રસ્તે છે ગતિ, અવર માર્ગેથી અટક્યા,

શતાબ્દી પ્હેલાં સર પરમ અરવિંદ પ્રગટ્યા.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ