sattw punj - Sonnet | RekhtaGujarati

સત્ત્વ-પુંજ

sattw punj

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
સત્ત્વ-પુંજ
ઉમાશંકર જોશી

મ્હેરામણો ગરજતા અહીં સામસામે :

એક ગેબી કંઈ તાલથી નર્તનારો,

હીંચોળતો હૃદયમાં અણમૂલ રત્ન,

ઉલ્લાસહાસભર મેઘપિતા સમુદ્ર;

ને વિરાટ વળી માનવસિંધુ નિત્યે

ગર્જંત, ઓટભરતી મહીં મસ્ત, લ્હેરે.

દે યંત્ર તાલ, અણથંભ પ્રવૃત્તિગર્ભે

છૂપાં કંઈ હૃદયરત્ન ઝુલાવી ર્હેતો.

ઝૂકી શશાંક નભમધ્ય છટાથી જેવો

આકર્ષતો સુભગ સાયરવારિ ઊંચે,

છીપો મહીં મૂકી જતો કદી મોતી શુભ્ર;

એવો મહા વિરલ પ્રેરક સત્ત્વ-પુંજ

સંક્ષુબ્ધ તરલ માનવરાશિ માગે,

કે કૈં કર્યું જીવન જાગી ચગે હુલાસે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 241)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ