પથસાથી
pathsathi
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
દિને-રાત્રે, આંખે રૂધિરઝર અશ્રુ નીતરતાં,
નહીં શ્રદ્ધા–આશા–વચન–જલ;દાહો ભીંજવવા.
સદા સંગાથી આ જીવનમહીં સૌને મળી રહે,
નહીં કોઈને તું જીવનપથ સહપાન્થ ગણતો.
અરે એકાકી આ ઉદધિ નિજ મસ્તી મહીં રમે,
તુફાને ગાંડો વા મુદમય તરંગો વહવતો.
ભલે આવે કોઈ ઉર પર કદી સાથ કરવા
નહીં આવે તોયે ઉદધિ નિજ ઊર્મિરત સદા.
કહીં આંબા-ડાળો ટુહૂરવ પ્રમત્તે ગજવતો,
અને હૈયાનીડે ટુહૂટુહૂ કરી સાદ જગવી
તને બોલાવે કોકિલ સુહૃદ તારો પુનરપિ;
અને કાવ્યે માગે પ્રતિધ્વનિ, તું તેનેય ભૂલતો?
અશ્રદ્ધા શ્રદ્ધા વા, નિજ હૃદય-દૌર્બલ્ય બલ વા,
દબાવી દે હૈયે, ઉદધિ પથ-સાથી તુજ થજો.
સ્રોત
- પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 66)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
- વર્ષ : 1959
