pathsathi - Sonnet | RekhtaGujarati

દિને-રાત્રે, આંખે રૂધિરઝર અશ્રુ નીતરતાં,

નહીં શ્રદ્ધા–આશા–વચન–જલ;દાહો ભીંજવવા.

સદા સંગાથી જીવનમહીં સૌને મળી રહે,

નહીં કોઈને તું જીવનપથ સહપાન્થ ગણતો.

અરે એકાકી ઉદધિ નિજ મસ્તી મહીં રમે,

તુફાને ગાંડો વા મુદમય તરંગો વહવતો.

ભલે આવે કોઈ ઉર પર કદી સાથ કરવા

નહીં આવે તોયે ઉદધિ નિજ ઊર્મિરત સદા.

કહીં આંબા-ડાળો ટુહૂરવ પ્રમત્તે ગજવતો,

અને હૈયાનીડે ટુહૂટુહૂ કરી સાદ જગવી

તને બોલાવે કોકિલ સુહૃદ તારો પુનરપિ;

અને કાવ્યે માગે પ્રતિધ્વનિ, તું તેનેય ભૂલતો?

અશ્રદ્ધા શ્રદ્ધા વા, નિજ હૃદય-દૌર્બલ્ય બલ વા,

દબાવી દે હૈયે, ઉદધિ પથ-સાથી તુજ થજો.

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
  • વર્ષ : 1959