પાનખરની સંધ્યા
paankharnii sandhyaa
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
ત્યારે હતું ગગન પશ્ચિમ રંગહીન.
ને પૌરગોષ્ઠ થકી જે પ્રગટેલ ધૂમ્ર
એનાથી અંતરિખ આછું છવાયું કૃષ્ણ :
પ્રાચીમહીં ન ક્યહીં તારકનુંય ચિહ્ન.
ને બીડના વિરલ વૃક્ષની ડાળ સર્વે
નિશ્ચેષ્ટ, એક પણ જ્યાં નહિ નીલ પર્ણ :
જ્યાં તેજ-સૂર-થકી વંચિત નેત્ર કર્ણ
ત્યાં મૌન શૂન્યતણું સ્પર્શતું મર્મ મર્મે.
એવે અબાબિલ ક્યહીં થકી ઊર્મિ-વેગે
શાખા પરે ઊતર્યું જ્યાં નિજ નીડ છદ્મ;
કિલ્લોલતાં વિહગ-શાવક શાં પ્રસન્ન!
(એ વૃક્ષનું જ ઉર... કાનન કેરુંયે તે.)
આંહીં હવામહીં તરંગ તરંગ દોલ,
ને તારક દ્યુતિથી સ્પંદિત શું ખગોલ!
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 20)
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
