nayannir - Sonnet | RekhtaGujarati

ભગીરથ તણી ફળી ચુગ યુગોની આરાધના,

અને અવતરી યદા પુનિત ધાર ગંગાતણી,

સમુદ્ધરણ કાજ પૂર્વજતણાં, ગયાં આથમી

તમિસ્ર ઘન ઘોર એક પુરુષાર્થની જ્યોતિમાં,

તદા નયનનીરની હરખધાર તેની સરી.

પરંતુ સહસા સુતનુ ધારને રુંધતી

મહેશ્વર તણી તહીં જટિલતા જટાજૂટની;

અને નયનનીરની પલટી ધાર નૈરાશ્યમાં.

ઉમા તહીં હસી જરી, ‘અવ જવા દિયોને પિયુ!’

કહી કર અડાડતાં; તહીં ધાર ગંગાતણી ૧૦

વહે, સ્મિત ધરી ઉરે શિવસતીતણાં શોભન.

ભગીરથ તણાં લસે નયનનીર ત્યાં હર્ષમાં

સખી! નયનનીર યે મુજ વિષાદઘેરાં કદા

જશે પલટી નીરમાં સતત એક આનન્દનાં?

ડિસેમ્બર, ૧૯૩૪

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : મનસુખલાલ ઝવેરી
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939