ક્રાંતિનાદ
Krantinad
કૃષ્ણલાલ શ્રીધરાણી
Krushnalal Shridharani

અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રુજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું: દિશ દીવાલ : શય્યા ધરા!
અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી: ને હૃદય દુ:ખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.
પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળના
ન ઈચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના!
સહુ વીતક વીતજો! વિઘન ના નડો શાંતિનાં!
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના!



સ્રોત
- પુસ્તક : કોડિયાં (પૃષ્ઠ ક્રમાંક 219)
- સર્જક : કૃષ્ણલાલ શ્રીધરાણી
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ
- વર્ષ : 1957
- આવૃત્તિ : 2