kahi shakun - Sonnet | RekhtaGujarati

તને કયમ કહું સદા નિરખજે મને એકને?

જહીં ઉપવને અનન્ત તુજ લ્હેરતાં ભાળું હું

અસંખ્ય વનપાદપો યુગયુગાન્તરોથી ઉભાં

ધરા-હૃદયમાં પ્રસારી નિજ મૂળ ઊંડાં, અને

સમસ્ત અવકાશને નિજ પ્રશાખથી આવરી;

તહીં ક્યમ કહી શકું નિરખજે મને એકને?

કહી ક્યમ શકું, યદા નિરખું છોડ હું કૂમળા

નિરંતર નિહાળી જે તુજ ભણી રહે, યાચતા

પ્રસન્ન સ્મિત તાહરું, પ્રણય બિન્દુ એકાદ ને

રહે તલસતા બધા પ્રગટવા કલા આત્મની,

થતાં તુજ સ્પર્શ પ્રેમળ; તહી શકું કેમ હું

કહી બસ મને તું નિરખજે સદા એકને?

કહી શકું હું આટલું : કુસુમ હું ઉદ્યાનનું

અનન્ત તવઃ ને રહું નિરખી હું તારા ભણી.

ર૩ સપ્ટેમ્બર, ૧૯૩૬

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : મનસુખલાલ ઝવેરી
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939