gayan warsho - Sonnet | RekhtaGujarati

ગયાં વર્ષો-

gayan warsho

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
ગયાં વર્ષો-
ઉમાશંકર જોશી

ગયાં વર્ષો તે તો ખબર રહી કેમ ગયાં!

ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં!

ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;

બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ સર્યો!

ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે,

સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે

રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.

અહો હૈયું! જેણે જીવતર તણો પંથ રસ્યો.

કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા

અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.

બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,

તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.

પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં:

રહ્યો ઝંખી. ને ના ખબર વરસો કેમ ગયાં!

અમદાવાદ, ર૧-૭-૧૯પર/પ૩ (વસંતવર્ષા)

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005