aasha kani - Sonnet | RekhtaGujarati

નિરાશાનાં ક્ષેત્રે કરવી લણણી આશકણની,

અને ગોતી ર્હેવી જડ ઢગ મહીં ચેતનકણી,

છટા માયા કેરી મહીંથી સતની ઝાંખી ચહવી,

જનો વાંછે ઘેલા; જીવન તણી તે શી મદિરા!

કર્યું અન્યે તે કાં નવ કરી અરે હું પણ શકું?

પતાકા કીર્તિની ક્યમ ફરકાવી હુંય શકું?

પરંતુ ઘેરાયા સમય તણી એવી ભીંસ મહીં,

અનિચ્છાએ જાગે રુદન, મુખ જ્યાં જાય હસવા.

પ્રવાતો વૈરોના રુધિર ઉરનું ઝેર કરતા,

પ્રપાતો દોષોના જીવતર ભરી ઘોર દવતા.

અસિદ્ધિના ડંખો, પ્રણય અણમાણ્યા, દમી રહે.

મનુષ્યો તોયે રે શત વરસ શે જીવવું ચહે?

અશક્તિ આત્મહત્યાની એને આશા કહે જનો;

મૃત્યુથી ત્રાસતાં તોયે જિંદગી અર્ક મૃત્યુનો.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 246)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ