vandha ni patnizankhana - 2 - Satire | RekhtaGujarati

વાંઢાની પત્નીઝંખના-2

vandha ni patnizankhana - 2

દલપતરામ દલપતરામ
વાંઢાની પત્નીઝંખના-2
દલપતરામ

પનઘટ ઉપર પ્રભાતમાં જઈ, બગની પેરે બેસું;

વિધવિધના વિચાર કરૂં પણ, એથી અર્થ સરે શું.

રસ્તે જાતાં રામાઓનાં, ટોળે ટોળાં દેખું;

નિરખીને નિસાસા નાખું, અભાગ્ય મારાં લેખું.

પછી ઘેર જઈ પોતાને હાથે, નીર ઉકાળી ન્હાવું;

બળ્યા જળ્યા ભાખરા બનાવી, ખાંત વિનાનું ખાવું.

સ્મશાન સરખું ઘર ભાસે ને, ચિતા સળગતી સજ્યા;

અધિક અંતરની વાત ઉચરતાં, લાગે છે મને લજ્યા.

વાસણની ઉતરેવડને એક, રાતું વસ્ત્ર ઓઢાડું;

ઉભાં છો વહુ એમ કહી, મારા મનને હું રમાડું.

એની જોડે ઉભો રહીને, એમ વિચારૂં આપ;

જેવડી કન્યા આવે તો, વળતી શા સંતાપ.

એક દોરડું લઈ તેની, વરમાળા બેશ બનાવી;

મારા ને ઉતરેવડના, મેં કંઠ વિષે પેહેરાવી.

કહ્યું ચાલો વહુ ચોરીમાં, તમને આપીશ મુખમાગ્યું;

ખેંચાયાથી ખસી પડી, વાંસામાં મુજને વાગ્યું.

હસતાં મારે લાતો જો ભાઈ, હોય પ્રિયાની પ્રીત્યો;

મેં મારે મન એમ ગણ્યું જે, આજ ઓરિયો વીત્યો.

નારિ વિના દુખનો નહિ છેડો, મરૂં છું દુઃખ માટે;

પુરપતિ કહે તુજને પરણાવિશ, મરિશ ઉચાટે.

નારી તારી નાતતણી છે, વિધવા પણ ગુણવાન;

સોળ વરસની સુંદરી છે, તન રંગે રતી સમાન.

હમણાં તો દુખની દાઝી, દીસે છે જેવી ડોશી;

પણ રંભા જેવી બનશે, જો રાખિશ પાળીપોષી.

પણ તારા નાતીલા તુજને, કરશે પંગત બહાર;

માટે હીંમત હોય તને તો, પરણાવું તે નાર.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 182)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002