mara astitwanun ghaDiyal - Prose Poem | RekhtaGujarati

મારા અસ્તિત્વનું ઘડિયાળ

mara astitwanun ghaDiyal

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
મારા અસ્તિત્વનું ઘડિયાળ
મણિલાલ દેસાઈ

મારા અસ્તિત્વનું ઘડિયાળ જાણે કે મોડું પડતું હોય એવું મને લાગે

છે. ઘડી ઘડી હું એને મેળવવાનો પ્રયત્ન કરું છું, પરંતુ છેવટે

મન મનાવું છું કે ઓછી પડતી ક્ષણો તારી ક્ષણો હશે. મેળવેલી

વસ્તુ આપણું ધન બને છે. પરંતુ ગુમાવેલી વસ્તુથી આપણે હંમેશાં

ગરીબ નથી બનતા એના અનુભવ જેવો અનુભવ નથી. મને

ખ્યાલ છે કે મારી અનુભવની વાત તને ડિંગ લાગે છે. હું ધૂળમાં

નાવ હંકારતો હોઉં એમ તું મારી સામે જોયા કરે છે. તને

વિચાર વગર પાંખે ઊડવાના અને વગર પગે ચાલવાના પ્રયત્ન જેવો

લાગતો હશે. તો શું એમાં અશક્યતાની વસંત મો’રી નથી

ઊઠતી? મને તો મારા અંગ પર એની નવ કૂંપળો કોળતી લાગે

છે. અસ્તિત્વનું આખું યે મેદાન વટાવી ઘણી વાર આપણે ત્યાં

પહોંચવું પડે. તારા જેવા મમતીલા માટે ભારે મોટું દુસ્સાહસ

છે. મને કોઈ વાર તારી વાત પર પેલા મંદિર પાસેના

પીપળાની જેમ ખડખડાટ હસી પડવાનું મન થાય છે. તું જે રેખા

ભૂંસવા માગે છે રેખાઓ ઘૂંટ્યા કરે છે એવું તને નથી

લાગતું?

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 110)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2