
હું બલિહારી એ વૈરાગ્યને, ઊપજ્યો જેને અંગ જી,
ચૌદ લોકને ચતુરધા, ન ગમે સુખનો સંગ જી... હું બલિહારી૦
સુખ ન ઇચ્છે સંસારનાં, સમજે સ્વપ્ન સમાન જી,
વાત ગમે રે વૈરાગ્યની, તન-સુખ ત્યાગવા તાન જી... હું બલિહારી૦
દુઃખી રે દેખે આ દેહને, રહે રાજી મન માંહ્ય જી,
અનરથનું આ ઘર છે, જાણી ન કરે જતન જી... હું બલિહારી૦
રાત-દિવસ હૃદિયા વિષે, વર્તે એમ વિચાર જી,
હું રે કોણ ને જઈશ ક્યાં? કરું તેનો નિરધાર જી... હું બલિહારી૦
કરું ઉપાય હવે એહનો, ડહોળી દેશ-વિદેશ જી,
કોઈ રે ઉગારે મને કાળથી, સોંપું તેને લઈ શીશ જી... હું બલિહારી૦
રહે આતુરતા એ ઉર વિષે, દેખી દેહી અનિત્ય જી,
સુખ નવ માને સંસારમાં, ન કરે કોઈ શું પ્રીત જી... હું બલિહારી૦
એવી દશા આવ્યા વિના, ન હોય તન-સુખ ત્યાગ જી,
ઉપરનો લાગે લજામણો, વગોણા સરખો વૈરાગ્ય જી... હું બલિહારી૦
હરિ ગુરુ સંત દયા કરે, આવે એહ વિચાર જી,
'નિષ્કુળાનંદ' નિશંક થઈ, સહેજે તરે સંસાર જી... હું બલિહારી૦



સ્રોત
- પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 204)
- પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
- વર્ષ : 1946
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ