sukhdukh manmaan aaniae, ghat sathe re ghadiyaan - Pad | RekhtaGujarati

સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં

sukhdukh manmaan aaniae, ghat sathe re ghadiyaan

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
નરસિંહ મહેતા

સુખદુઃખ મનમાં આણીએ, ઘટ સાથે રે ઘડિયાં;

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં. સુખ૦

નળરાજા સરખો નર નહીં, જેની દમયંતી રાણી;

અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યાં, મળ્યાં અન્ન ને પાણી સુખ૦

પાંચ પાંડવ સરખા બંધવા, જેને દ્રૌપદી રાણી;

બાર વરસ વન ભોગવ્યાં, નયણે નિદ્રા આણી. સુખ૦

સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી;

રાવણ તેને હરી ગયો, સતી મહા દુઃખ પામી સુખ૦

રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી;

દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી. સુખ૦

હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચના રાણી;

તેને વિપત્તિ બહુ પડી, ભર્યાં નીચ-ઘેર પાણી. સુખ૦

શિવજી સરખા સાધુ નહીં, જેની પાર્વતી રાણી;

ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી. સુખ૦

સર્વ દેવને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરજામી;

ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંને સ્વામી. સુખ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994