શરીર શોધ્યા વિના સાર નહિ સાંપડે
shariir shodhyaa vinaa saar nahi saampde
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ કેદારો)
શરીર શોધ્યા વિના સાર નહિ સાંપડે, પંડિતા! પાર નહિ પામો પોથે;
તાંદુલ મેલીને તુષને વળગી રહ્યો, ભૂખ નહિ ભાગે એ ઠાલે થોથે. શ૦
રસનાના સ્વાદમાં સરવ રીઝી રહ્યા, વિગતિ ગુરુજ્ઞાન વિના રે ગૂંથે;
વાણીવિલાસમાં રંગ ન લાગ્યો રુદે, ૫રહરી વસ્ત્ર ને વળગ્યો ચૂંથે. શ૦
શબ્દ સંચ્યા ઘણા, સકળ વિદ્યા ભણ્યા, અધ્યાત્મ ઊચરે એ જ પોતે;
પ્રપંચ પંડમાં રહ્યો, અહંકાર નવ ગયો, અનંત જુગ વહી ગયા એમ જોતે. શ૦
શાસ્ત્ર કીધાં કડે, (તોય) રજનીમાં આથડે, અંધ થૈ સંચરે શૈલ્ય ઓથે;
ભણે નરસૈંયો જે ભેદ જાણી જુઓ, મેં તો રચી કહ્યું પદ ચોથે. શ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 104)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
