શરીર શોધ્યા વિના
shariir shodhyaa vinaa
નરસિંહ મહેતા
Narsinh Mehta

શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે,
પંડિતો પાર નહીં પામો પોથે,
તાંદુલ મેલીને, તૂષને વળગી રહ્યો,
ભૂખ નહિ ભાંગે એમાં ઠાલે થોથે...
રસનાના સ્વાદમાં સર્વ રૂંધાઈ રહ્યા,
વિગતિ ગુરુ-જ્ઞાન વિના રે ગુંથે,
વાણીવિલાસમાં, વિવિધ વાણી વડે,
પરહરી વસ્ત્રને વળગે ચૂંથે...
શબ્દ શીખે ખરો, સકલ વિદ્યા ભણે,
અધ્યાત્મ ઊચરે આવી ઓથે,
પ્રપંચ પિંડમાં રહ્યો, અહંકાર નવ ગયો,
અનંત આથડ્યો એમ અનંત કોઠે...
શાસ્ત્રકથા કહે, રજનીમાં આથડે,
એમ અજ્ઞાનમાં શીશ ગોઠે,
ભણે ‘નરસૈયો’ જે, ભેદ જાણી જુઓ,
મેં તો રચી કહ્યું પદ ચોથે...



સ્રોત
- પુસ્તક : સુણ શબદ કહે જો સંત-ફકીર (પૃષ્ઠ ક્રમાંક 48)
- સંપાદક : ફારૂક શાહ
- પ્રકાશક : ભરાડ ફાઉન્ડેશન, રાજકોટ
- વર્ષ : 2009