
સદ્ગુરુરાજ લગન લેઈ આવ્યા, સર્વ સંસારથી મુજ મન ભાવ્યા,
પ્રેમ આરતી મોતીડે વધાવ્યા, તે ભાગ્ય ભળ્યાં પેલા ભવ તણાં રે.
શબ્દ રૂપી ચાંદલીઆ ચોડ્યા, નિવૃત્તિ કન્યાસું વિવાહ જોડ્યા,
કામ ક્રોધ ભય સર્વે મોડ્યા, તો વિવાહ કર્યા જુગતે કરી રે.
ગગનમંડળ વચ્ચે માંડવો રોપાવ્યો, પચરંગી રંગે રંગાવ્યો,
અમીરસ રૂપી દોરીએ બંધાવ્યો, તો છાયો કાચા તારસું રે.
હૃદયા માંહી વર તોરણ આવ્યો, અનેક રીતો સંપૂરણ લાવ્યો,
સુરતા સખીએ ફૂલડે વધાવ્યો, તો નીરખ્યા નાથ નયણાં ભરી રે.
સુખમણ વેવણ પોંખણું આવી, પાંચ પચીસ ગાનારીને લાવી,
ઈડા પિંગલાનાં બીડીઆં વધાવી, તતો પોંખણ પોંખે પ્રેમસું રે.
એ માંડવાની શોભા છે સારી, રત્નજડિત ઝરૂખા ને બારી,
અનેક કોટીએ જઈએ ઓવારી, તતો અખંડ જ્યોતિ ઝળહળે રે.
નિવૃત્તિ કન્યા પધરાવો, શબ્દ સમેટી હૃદયમાં લાવો,
વૈરાગ્ય કરી ધૂણી રચાવો, તો અનહુદ વાજાં ગડગડે રે.
ભજન કરી જેણે હરિવર વરિયા, આવાગમનના ફેરા ટળિયા,
કહે ‘પીતાંબર’ સદ્ગુરુ મળિયા, તો અખંડ ચૂડો પહેરિયો રે.



સ્રોત
- પુસ્તક : આત્મજ્ઞાનનાં ભજન-ભાગ પહેલો (પૃષ્ઠ ક્રમાંક 67)
- સંપાદક : ઓશિંગણ
- પ્રકાશક : ધી ઇન્ડિયાપબ્લિશિંગ કંપની લિમિટેડ
- વર્ષ : 1909