saambhal sahiyar - Pad | RekhtaGujarati

સાંભળ સહિયર

saambhal sahiyar

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
સાંભળ સહિયર
નરસિંહ મહેતા

સાંભળ સહિયર, સુરત ધરીને આજ અનોપમ દીઠો રે,

જે દીઠો તે જોવા સરખો અમૃતપેં અતિ મીઠો રે...

દૃષ્ટે આવે નિગમ ગાવે, વાણીરહિત વિચારો રે,

સત્ય અનંત જે કહાવે તે નવધાથી ન્યારો રે...

નવધામાં તો નહિ રે નીવેડો, દશધામાં દેખાશે રે,

અચવો રસ છે એની પાસે, તે પ્રેમીજનને પાશે રે...

અદ્વૈત બ્રહ્મ અનોપમ લીલા, અસંખ્ય જુગનો એવો રે,

જપ તપ જોગ જગન મુનિ દુર્લભ, માને તેવો મેવો રે...

જ્યાંથી જ્યમ છે તેમનો ત્યમ છે, વધે ઘટે નહિ વહાલો રે,

આવે જાવે, જાવે આવે, નહિ ભર્યો, નહિ ઠાલો રે...

પૂર્ણાનંદ પાતે પુરુષોત્તમ, અપરમ ગત છે એની રે,

તે પર ક્ષર અક્ષરની ઉપર, તમે જોજો ચિત્તમાં ચેતી રે...

હું તું મટશે ને દુબ્ધા ટળશે, નિરભે થશો નીરખી રે,

ભલે મળ્યો 'નરસૈંયો' સ્વામી, હું હૈડામાં હરખી રે...

સ્રોત

  • પુસ્તક : ભજનરસ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : મકરંદ દવે
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1987