re shir sate - Pad | RekhtaGujarati

રે શિર સાટે

re shir sate

બ્રહ્માનંદ બ્રહ્માનંદ
રે શિર સાટે
બ્રહ્માનંદ

રે શિર સાટે નટવરને વરીએ, પાછાં તે પગલાં નવ ભરીએ. (ટેક)

રે અંતર દૃષ્ટિ કરી ખેાળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડોળ્યું;

હરિ સારું માથું ગાળ્યું.

રે શિરo

રે સમજયા વિના નવ નિસરીએ, રે રણ મધ્યે જઈને નવ ડરીએ,

ત્યાં મુખ પાણી રાખી મરીએ,

રે શિરo

રે પ્રથમ ચડે શૂરા થઈને, રે ભાગે પાછો રણમાં જઈ ને;

તે શું જીવે ભૂંડું મુખ લઇને.

રે શિરo

રે પે'લું મનમાં ત્રેવડીએ, રે હારે વારે જુધ્ધે નવ ચડીએ;

જો ચડીએ તો કટકા થઈ પડીએ.

રે શિરo

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હઠીએ;

બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.

રે શિરo

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983