ramban wagyan hoy te jane - Pad | RekhtaGujarati

રામબાણ વાગ્યાં હોય તે જાણે

ramban wagyan hoy te jane

ધનો ધનો
રામબાણ વાગ્યાં હોય તે જાણે
ધનો

રામબાણ વાગ્યાં હોય તે જાણે! પ્રભુનાં બાણ વાગ્યાં હોય તે જાણે;

ઓલ્યા મૂરખ મનમાં શું આણે? રામબાણ વાગ્યાં હોય તે જાણે.

ધ્રુવને લાગ્યાં, પ્રહ્લાદને લાગ્યાં, તે ઠરીને બેઠા રે ઠેકાણે;

ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યાં, તો વેદ-વચન પ્રમાણે. રામબાણ૦

મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરિ આવ્યા જે ટાણે;

લઈ કરવત મસ્તક પર મેલ્યું, પત્ની-પુત્ર બેઉ તાણે. રામબાણ૦

મીરાંબાઈ ઉપર ક્રોધ કરીને, રાણોજી ખડ્ગ તાણે;

વિષના પ્યાલા ગિરધરલાલે આરોગ્યા, તો અમૃતને ઠેકાણે. રામબાણ૦

નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી, ખેપ ભરી ખરે ટાણે;

આગળ સંત અનેક ઓધાર્યા, એવું ધનો ભગત ઉર આણે. રામબાણ૦

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2004