વિશ્વનાથ જાની
Vishwanath Jani
[દુહો]
વિવિધ વચન વિનતાનાં સાંભલી, એમ વદે, વાસુદેવ :
“સુતના હિતને કારણે કારજ કરવું ખેવ.”
આલસ મૂકો, માન્યની ! જે મુંને પૂછો વાત;
લાટે પાટે નવ્ય થાયે આ મોહનજીની માત.'
[ગીત]
ગેહેલી ! ગોકુલની શી વાત ?
પૂરણ ક્રિપા પાખિ નહીં થવાયે નંદ જ્યશોદા માત;
જોહેને ખોલે રમ્યા રસિકવર, જનમથકી માં જાણી રે,
ઉછેરીને આવડો કીધો, અંતર બહુ હેત આણી; ગેહેલી૦
મુખ જોઈ મોહનજી કેરું ઠાર્યો જ્યેણીએ પ્રાણી રે,
અવધ વિના એહેવાં સુખ પામી નંદજીની રાણી; ગેહેલી૦
જયેહેનું પય પ્રેમે-શુ પીધું, માડી કહી બોલાવી રે,
સાંહાંજ સહવારે માગી સુખડી લાજ રુદેમાં ના'વી; ગેહેલી૦
જ્યશોદાજીએ જે જે આપી તે ભૂધરને મન ભાવી રે,
ત્રિભોવનમાંહે તરી તે તારુણી જે માત કૃષ્ણની કહાવી; ગેહેલી૦
ત્રણ્ય કાલ તાપેસ સંભારે, લક્ષ પેર લે લાઈ રે,
સહસ્રવાર સમરે શ્રોણામાં, નવ્ય હેલો જે દેખાઈ; ગેહેલી૦
તે આલિંગન દે આફણિયે, કોટે વલગે ધાઈ રે,
મરકલડાં કરતું મુખ ચ્યૂંબું : વાહાલી માહારી આઈ; ગેહેલી૦
જોહેનો જશ બ્રહ્માદિક સરખા ચ્યાહારે વેદ વખાણે રે,
શેષ રેખ ગુણ ગાતો ન રહે, થોડાં મુખ મન આણે; ગેહેલી૦
તે ભૂધર ‘ભૂખ્યો છું' કહીને પ્રેમે પાલવ તાણ્યો રે,
નંદ નારીયે નાંધડિયાને કાલો કુંઅર જાણ્યો; ગેહેલી૦
‘આવ્ય, કુંઅર !’ કહી ગ્રહી બાંહોડી, અંગ અલૌકિક ધોયાં રે,
શિશુપણે પ્રાક્રમ બહુ કીધાં, નંદ જ્યશોદાયે જોયાં; ગેહેલી૦
રાઢ કરી રોતો; કેશવનાં અબલાયે આંસુ લોહ્યાં રે,
કોણ મનોહર મુખડું જોઈને મનડાં બેહુનાં મોહ્યાં; ગેહેલી૦
આપણપેં અદકેરાં સાધન નંદ યશોદાયે કીધાં રે,
ગાય ચારવા સરખાં કારજ્ય કોટ કૃષ્ણને દીધાં; ગેહેલી૦
મહી માખણને કાજે જ્યેણીએ માંડ મારવા લીધાં રે,
‘જાની’ જાણે છે, જનુની થઈ અમૃત આંખડીએ પીધાં રે; ગેહેલી૦
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 43)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
