વિશ્વનાથ જાની
Vishwanath Jani
[દુહા]
કેહે દેવકી શ્રીકૃષ્ણને “સાંભલ્ય માહારા તંન
મોહનજી મથુરા વિષે શે નથી માનતું મંન?
હું આપું સારી સુખડી માહારા સુંદર શાંમ શરીર
નિસાસો ઊંડો કરી કાં નેત્રે ભરો છો નીર?”
[ગીત]
આતાજી ! એમ ન કીજિયે, બલેહારી રે,
મુંને કોહોની મનની વાત; બલા લેઉં તાહારી રે.
જશોદાજી આહાં તેડાવિયે, બલેહારી રે,
જે જાણે તાહારી વાત, બલા લેઉં તાહારી રે.
નંદજી સું છે વેગલા, બલેહારી રે,
તેહેને સાદ કરાવું આજ; બલા લેઉં તાહારી રે.
માહારા સમ, મુખથી કોહો, બલેહારી રે,
મૂકી મનની લાજ; બલા લેઉં તાહારી રે.
વાહાલા જે ગોવાલિયા, બલેહારી રે,
તેહેનાં મંડાવોની નામ; બલા લેઉં તાહારી રે.
કોહો તે મથુરામાં કરું, બલેહારી રે,
ન ઉત્તમ ગોકુલ ગામ; બલા લેઉં તાહારી રે.
ગાયો ઘણી ઘેર આપણે, બલેહારી રે,
જો માયા તેહેની હોય; બલા લેઉં તાહારી રે.
માખણ પરઘરનું ભાવે, બલેહારી રે,
તો ઇચ્છે છે સહુ કોય, બલા લેઉં તાહારી રે.
શું મોરપીછ મલતાં નથી? બલેહારી રે,
બહુ ગુંજાના છે હાર; બલા લેઉં તાહારી રે.
કામલી કારણ કાહાનજી ! બલેહારી રે,
આ શી આંસુડાંની ધાર, બલા લેઉં તાહારી રે.
સરસ વંસ સોના તણો, બલેહારી રે,
હીરે જડિત્ર લ્યો હાથ, બલા લેઉં તાહારી રે.
માંકડાં શું મલતાં નથી? બલેહારી રે,
ગોપી ગોવાલાનો સાથ; બલા લેઉં તાહારી રે.
જો દાણ લેવું મનમાં ગમે, બલેહારી રે,
તો જ્યમલો જમુનાંનો ઘાટ; બલા લેઉં તાહારી રે.
મનુસમાત્ર આવી ચઢે, બલેહારી રે,
આ વ્રીંદાવનની વાટ; બલા લેઉં તાહારી રે.
શું મહિયારી મથુરાં નથી? બલેહારી રે,
જો ભાવે તેહની છાશ; બલા લેઉં તાહારી રે.
‘વિશ્વનાથ’ વાહાલા ઘણું, બલેહારી રે,
નિશદિન રાખીશ પાસ; બલા લેઉં તાહારી રે.
સ્રોત
- પુસ્તક : મધ્યકાલીન ગુજરાતી પદ સંચય (પૃષ્ઠ ક્રમાંક 42)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, રમણ સોની
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998
