pragat malye sukh thay! - Pad | RekhtaGujarati

પ્રગટ મળ્યે સુખ થાય!

pragat malye sukh thay!

દયારામ દયારામ
પ્રગટ મળ્યે સુખ થાય!
દયારામ

પ્રગટ મળ્યે સુખ થાય, શ્રીગિરિધર પ્રગટ મળ્યે સુખ થાય!

અંતર્યામી અખિલમાં છે તેથી કહો, કોનું દુઃખ જાય? શ્રીગિરિધર.o

તેલ વિના સ્ફૂટ તિલ પૂર્યેથી દીપક કેમ પ્રગટાય?

પ્રગટ પાવક વિના કાષ્ઠને ભેટયે શી પેરે શીત શમાય? શ્રીગિરિધર.o

પૃથ્વી ચાટ્યેતૃષા ટળે નહીં, અંતરજળ શ્રુતિ ગાય,

દીવાસળીપાષાણસ્પર્શથી કો કહે જ્વાળા જણાય? શ્રીગિરિધર.o

સુરભિપેટમાં પય, તેમાં ઘૃત, તેથી પુષ્ટિ પામે ગાય,

દોહીમથી માખણ તાવ્યે સર્પિભક્ષણ સુખદાય. શ્રીગિરિધર.o

વ્યાપકથી વાતો નવ થાયે, તે વિના જીવ અકળાય,

રસિયાજનમનરંજન નટવર! દયાપ્રીતમ વ્રજરાય! શ્રીગિરિધર.o

સ્રોત

  • પુસ્તક : દયારામનાં શ્રેષ્ઠ કાવ્યો
  • સંપાદક : ધીરુ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2010