ઓધવજી અમને
Odhavji Amane
મુક્તાનંદ
Muktanand

(રાગ : ધોળ)
ઓધવજી અમને દુઃખ દીધું વાલમે,
કો’ કો આગળ કહિયે દુઃખની વાત જો;
મોહનવર મથુરાં જઈ પાછા નાવિયા,
કીધી અમશું કાનકુંવરે દ્યાત જો. ઓ...
લાલચડી તજીયે તો મહા સુખ પામિયે,
વેશ્યા કેરાં વચન ગ્રહી ઉપદેશ જો;
પરમ નિરાશી થૈ બોલી છે પીંગળા,
એમાં ઓધવ જૂઠું નહિ લવલેશ જો. ઓ...
આશામાં અતિશે દુઃખ સર્વે જાણીએ,
તોયે ટળે નહીં કાનકુંવરની આશ જો;
કઠણ ઘણી છે આશ અમારે મેલતાં,
આશ તજ્યે જાય ગોપીજનના શ્વાસ જો. ઓ...
જાદુડાં જાણે છે કાન ગોવાળિયો,
એનો મારગ મૂક્યો નવ મુકાય જો.
મુક્તાનંદને નાથ લગાડી મોહની,
હવે અમે એનો કરિયે ઉપાય જો. ઓ...



સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 283)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદમી, ન્યૂ દિલ્હી
- વર્ષ : 1998