ઓ વલ્લભજી, દાવાનલ દુઃખના દહાડા
o vallabhji davanal dujhna dahada
ફૂલકુંવરબાઈ
Fulkunvarbai
ફૂલકુંવરબાઈ
Fulkunvarbai
ઓ વલ્લભજી, દાવાનલ દુઃખના દહાડા કેમ ગાળીયે;
બળી ખાખ થયાં, વિપ્રયોગથી મનડું કઈ પેરે વાળીયે. ઓ૦
અમો અબળા અવગુણથી ભરીયાં, નથી સાધન સુકૃત કાંઈ કરીયાં;
પણ રાજચરણમાં અનુસરીયાં. ઓ૦
હવે રાજ વિના અમો શું કરીયે, અમો ઘરમાં ઘેલાં થઈ ફરીયે;
પ્રભુ દો દરશન તો ઉગરીયે. ઓ૦
અમો સર્વ તજી ચરણે વળગ્યાં, દેઈ વિપ્રયોગ કીધાં અળગાં;
અમો નખથી સીખ લગી સળગ્યાં. ઓ૦
અમો જ્ઞાનહીન ગાંડાંઘેલાં, અમો કશુંએ સમજ્યાં નહિ પહેલાં;
હવે દરશન દો હમને વહેલાં. ઓ૦
હવે ક્યાં જઈએ નથી સુખ જરીયે, અમે ડૂબી ગયાં છીએ દુઃખ દરિયે;
અમો અબલા કેમ ધીરજ ધરીયે. ઓ૦
અમારે બીજું બલ નથી રાજ વિના, માટે શરણે રાખો રંગભીના;
રાજ કૃપા કરી કરો રસલીના. ઓ૦
રાજ મનમાં ધરો આ વિનતિ, અમો વિરહે વિકલ થયાં અતિ;
દર્શન દો વેગે ગોકુલપતિ. ઓ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 207)
- સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
- વર્ષ : 1971
