ઓ વલ્લભજી, બાંયલડી ઝાલી
O vallabhji bayaladi jhali
ફૂલકુંવરબાઈ
Fulkunvarbai
ફૂલકુંવરબાઈ
Fulkunvarbai
ઓ વલ્લભજી, બાંયલડી ઝાલી તો પાર ઉતારીયે;
મારા પ્રાણજીવન, વિપ્રયોગથી મહા દુઃખ દઈ ના મારીયે.
અબલા અવગુણની ખાણ અમે, દેહલડી દુઃખ કેમ કરી ખમે;
શું નથી જાણતા પ્રભુજી તમે. ઓ૦
પ્રભુ શરણે આવ્યાં છીએ પ્રેમ કરી, તરછોડો નહિ કોઈ કાળે ફરી;
એવું જાણી રાજને ચરણે વરી. ઓ૦
અમો લોકલાજ કુલભાન તજી, આવ્યાં ચરણશરણ શણગાર સજી;
તોય હમને ગમતાં સુખ ન મલ્યાં હજી. ઓ૦
કહેતા તુજ પાસે મારે રહેવાનું, રસદાન કરી સુખ દેવાનું;
એ શું મુખે જૂઠું કહેવાનું. ઓ૦
અમો દુઃખના દિન ક્યાં ગાળીયે, નિત્ય પિયુજીનો પંથ નિહાળીયે;
રાજ બોલ્યાં વચન પ્રતિપાળીયે. ઓ૦
નથી આશ્રય રાજ વિના બીજો, ભલે રસિયા રીઝો કે ખીજો;
મારી વિનતિ એ માની લીજો. ઓ૦
રીઝે રાજ તો પામું રસસિદ્ધિ, પછી નથી જોઈતી અષ્ટમા સિદ્ધિ;
‘ફૂલ’ ફૂલી રહું જોઈ સુખનિધિ. ઓ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 208)
- સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
- વર્ષ : 1971
