ફૂલકુંવરબાઈ
Fulkunvarbai
ઓ વહાલાજી, વચન લઈને વિલંબ કરો શા કારણે?
આવો આવો પિયા, દીન દુ:ખિયારી દાસી ઊભી બારણે.
મીઠાં વચન ભરેલાં છે મુખમાં, હું તો બળી મરું દારુણ દુઃખમાં;
પિયુ તમો સૂતા છો શા સુખમાં !
તમો પતિવ્રતાના પ્રાણ છો, તમો પરપીડાના જાણ છો;
સ્વકીયાના સુખની ખાણ છો. ઓ૦
તમો ચતુરાના ચિત્તચોર છો, મારા કાળજડાની કોર છે;
મારા નાથ નવલકિશોર છે. ઓ૦
શું કહીએ બહુ બહુ જલપીને, હવે ગયાં કાલજડાં કલપીને;
મલવાને મન રહ્યાં તલપીને. ઓ૦
વહી જાય છે એળે જન્મારો, દેખો દોષ તો નહિ આવે આરો;
ગ્રહી બાંય તો પિયુજી પાર ઉતારો. ઓ૦
તમને કોણે કર્યા આવડા માની? મારી ચિંતા તમને હોય શાની;
પણ નહિ આવો તો થાશે હાનિ. ઓ૦
મને દુઃખ ભોગવવા કેમ સરજી, દીનદાસી કેમ દીધી વરજી;
મારા પિયુજી થયા શું બેગરજી ! ઓ૦
આ દાસીમાં અગણિત ખોડો, નથી ઘટતું બાંહ ગ્રહી છોડો,
વહાલા વેગળા રહી શું જુઓ વરઘોડો ! ઓ૦
મારે ઉપર આભ નીચે ધરતી, નથી અવર બીજું વિરહે મરતી;
આ દાસી ‘ફૂલ’ નથી કરતી. ઓ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 208)
- સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
- વર્ષ : 1971
