ફૂલકુંવરબાઈ
Fulkunvarbai
ઓ રંગરસિયા રસદાતા, રસભોક્તા, મહારસ દાન દો,
મારે મન વસિયા, આધીન અબલાને અધરામૃત પાન દો.
છે ભ્રમર કમલરસનો ભોગી, એને બીજાં ફૂલ સૌ ઉપયોગી;
તોયે સદા રહે છે સંજોગી. ઓ૦
આ ફૂલ્યાં ફૂલડાં કરમાશે, એની સુગંધ સુકોમલતા જાશે;
વહાલા વિલંબ કર્યાથી વણસાથે. ઓ૦
રસ-સ્વાદ-સુગંધ-ભરી ઘાડી, આ ફૂલ રહી છે ફૂલવાડી;
એને મન્મથગજ કચરે દહાડી. ઓ૦
એની ખબર ન લે માળી રંચે, કદીએ મૂળમાં જળ ના સીંચે;
કહો કેમ કરી એ વેલી વંચે? ઓ૦
એક સુંદર અમૃત ફલ પાક્યું, તેને જાળવી જતન કરી રાખ્યું;
પણ ભાવ ધરીને ના ચાખ્યું. ઓ૦
પાકું ફલ ક્યાં લગી રહેવાનું ! ભોક્તા વિણ એ નથી દેવાનું;
ફલ વિફલ થશે ક્યાં કહેવાનું? ઓ૦
પછી રસને સ્વાદ સુકાઈ જાશે, શ્રમ ને આરત મિથ્યા થાશે;
પસ્તાવું પડશે એમ ભાસે. ઓ૦
અમ અબલાની પણ એ જ ગતિ, પિયુજી પાખે નહિ તૃપ્તિ;
માટે વેગે ખબર લ્યો ગોકુલપતિ. ઓ૦
હવે વેલ ફૂલાવીને ફૂલો, મારા નયન હિંડોળામાં ઝૂલો;
રખે વિલંબ કરી મુજને ભૂલો. ઓ૦
મુને ચરણકમલની દાસીને, રહ્યો હૃદયે પ્રેમ પ્રકાશીને;
‘ફૂલ’ ફૂલે જોઈ ગોકુલવાસીને. ઓ૦
સ્રોત
- પુસ્તક : શ્રી ગોકુલેશ ધોળપદમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 207)
- સંપાદક : પૂનમચંદ સાં. દોશી, ચિમનલાલ મ. વૈદ્ય
- વર્ષ : 1971
