nugraane nav jade aaro - Pad | RekhtaGujarati

નુગરાને નવ જડે આરો

nugraane nav jade aaro

નિરાંત નિરાંત
નુગરાને નવ જડે આરો
નિરાંત

નુગરાને નવ જડે આરો, ઊતરવાનો નુગરાને નવ જડે આરો!

રે ભવસાગર તો જળનો ભરેલો, કામ-ક્રોધનો છે મારો,

કોટિ કલ્પ લગી કોઈ તરે નહિ, એવો છે ભવનો ભુલારો... ઊતર૦

કીટ પતંગ ને બ્રહ્મ લગી ભાળજો, ભાળો નહિ ભવનો તારો,

ઝાઝું શું કહીએ, જૂઠું માનશો, એવો છે પાપનો પસારો... ઊતર૦

સાકુટના દર્શનથી દોષ ઘણો બેસે, ઓળખવો આત્મહત્યારો,

હરિથી વિમુખ તેનો હાથ કોણ ઝાલે? સાકુટનો સંગ નિવારો... ઊતર૦

રે સંસારમાં ગુરુ વિના કોણ છે? સહુથી શ્રેષ્ઠ ગુરુ ધારો,

દેહના ગુરુ, અલ્યા! સર્વેના જાણજો, પણ મનનો ગુરુ છે કંઈ ન્યારો... ઊતર૦

મનના ગુરુ વિના ભૂલ નથી ભાંગતી, ભૂલે ભમે છે જગ સારો,

'નિરાંત' સદ્‌ગુરુ મનના મળે, તો પળમાં કરે છે ભવ પારો... ઊતર૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 195)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ