nirakhne gaganman - Pad | RekhtaGujarati

નિરખને ગગનમાં

nirakhne gaganman

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
નિરખને ગગનમાં
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? 'તે હું', 'તે હું' શબ્દ બોલે;

શ્યામનાં ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયાં કો નથી કૃષ્ણતોલે. નિ૦

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;

જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમે સજીવંન મૂળી. નિ૦

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;

સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝૂલે. નિ૦

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી,

અચળ ઝળકે સદા વિમળ દીવો,

નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો,

વણજિહ્વાએ રસ સરસ પીવો. નિ૦

અકળ અવિનાશીએ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;

નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. નિ૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997