નંદના નંદ-શું નેહ જેને નહીં
nandnaa nand-shun neh jene nahiin
નરસિંહ મહેતા
Narsinh Mehta
નરસિંહ મહેતા
Narsinh Mehta
(રાગ કેદારો)
નંદના નંદ-શું નેહ જેને નહીં, તે રે માનવ ખર-શ્વાન તોલે;
ભૂતળ ભાર કરવાને એ અવતર્યા, પ્રેતની પેરે સંસાર ડોળે. નંદ૦
દૃષ્ટિથી તે ટળો, ભોગ તેહના બળો, શલ્ય પડો તેહના સુખ માથે;
જીવતા નર તે તો શબ સમા જાણવા, જેહનું ચિત્ત નહીં કૃષ્ણ સાથે. નંદ૦
કીર્તિ શ્રીકૃષ્ણની જીભથી નવ ભણે, તેહને મુખ દીજે રે તાળું;
ભણે નરસૈંયો : હરિ જેને વહાલા નહીં, તે તણું કુટુંબ સદાય કાળું. નંદ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 92)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
