ran to dhiranun - Pad | RekhtaGujarati

રણ તો ધીરાનું

ran to dhiranun

નર્મદ નર્મદ
રણ તો ધીરાનું
નર્મદ

રણ તો ધીરાનું ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું.

ધીર વીર જે હોય તે ખૂબ, સંકટ સામો થાયે;

પ્હાડ પઠે રણમાં રહે ઊભો, લેશ નહિ ગભરાયે. રણ તોo

ધીર વીર કો પ્રસંગ શોધે, સ્હેવા કષ્ટો ભારે;

જાણી જોઇને આફત હોરે, રાજી ઘા લે ત્યારે. રણ તોo

થતે બાવરાં ઉતાવળાં રે, હાર થાય છે મોટી;

વિના કારણે ઘાત થાય ને, જાય કનેથી લોટી. રણ તોo

કાયર થઇને નાસી જાતાં, અધવચ મૃત્યુ ઝાલે;

મરવાના કે રણમાં, કર્તાં કાં ના મરવું ભાલે? રણ તોo

ડાહ્યો તે દેશાવર વેઠે, જ્ઞાની બહુ અથડાયે;

ધીરવીરના પગ સંકટમાં, કદી નહિ લથડાયે. રણ તોo

ધાર્યું મેળવે વા ટેકી રેહે, વા તે મૃત્યુ પામે;

ત્રણેથી તેને જસ છે, શત્રુ ધન્ય કહે સામે. રણ તોo

પ્રપંચરણમાં બહુ સપડાવે, મોટા ત્રણે તાપો;

શૂર વીર જન કળે વળેથી, મારે તે પર છાપો. રણ તોo

ભણી વધારો જોસ્સા સહુ જન, પણ કબજામાં રાખો;

પ્હેલે જીતી જાણો તો, શત્રુ નીચે નાખો. રણ તોo

જાણી જોઈ ના સંકટ હોરો, સંકટમાં ના બીહો;

કહે નર્મદ સહુ ધીરવીર થઈ, જસ લઈ જાગ જુગ જીવો.રણ તોo

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023