કોણ લખાવે રે, અલખની એધાણી
kon lakhave re, alakhni adhani
નિરાંત
Nirant

(રાગ – ધીરાની કાફીનો)
કોણ લખાવે રે, અલખની એધાણી,
અકેણ કહાવે રે, કહી ના શકે વાણી. ટેક0
નામ નહિ તેને શું કહીએ, રૂપરેખ નહિ ભાસ,
ગુણ નહિ શો ગુણ દાખવીએ, અલગો આપ નિવાસ;
ભાવ ને ભરોસે રે, આરત અંજાણી. કોણ0
મન પવન સુરતા નવ ચાલે! ધ્યાને નવ ધરાય,
સાધન શ્વાસ ઉશ્વાસ ના પહોંચે, જોગ સમાધે ના સોહાય;
વેદ આદે વિદ્યા રે, ભણીને મત ભૂલાણી. કોણ0
શિવ બ્રહ્મા ને નારદ આદે, સરવ અભ્યાસી દેવ,
અંધા કાષ્ટ આધારે વહેતા, આપ રહ્યો અભેવ;
વિત વિશ્વનું રે, નિત્યપદ નિરવાણી. કોણ0
ખટ દરશને ખોળ્યો નવ લાધે, વર્ણાશ્રમથી દૂર,
થાવર જંગમ સભર ભરાભર, ક્યમ ભાસે ભરપૂર;
ક્રત્ય પડ્યાં કાચાં રે, બૂજ નવ બૂજાણી. કોણ0
જથારથ પદ જેમનું તેમ છે, અકળ કળ્યું નવ જાય,
સદગુરુ સ્વામી કૃપા કરે તો, આપોઆપ ઓળખાય;
નિરાંત નામ નરખોરે, સાક્ષીવત્ જાણી. કોણ0



સ્રોત
- પુસ્તક : શ્રી નિરાંત કાવ્ય (પૃષ્ઠ ક્રમાંક 103)
- સંપાદક : ગોપાળરામ
- પ્રકાશક : શ્રી નિરાંત મંદિર, ફતેપુરા-વડોદરા
- વર્ષ : 1939