
શામળિયાજી સ્નેહી તારી, પ્રીતલડી બંધાણી વાલા;
વેણા ઉપર હું જાઉં વારી, મીઠી સુખની વાણી વાલા.
નેણાંકેરો ચાળો કાંઈ, કામણ કરે છે વાલા;
ભૃકુટી કમાને બાણે, પ્રાણને લહે છે વાલા.
દીનબંધુ દેવકીનો જાયો, રૂપતણી છે ખાણ વાલા;
તન મન ધન મારું, તે તો તારું જાણ વાલા.
અલકની ઝલકમાં, પલક નવ ઠરે વાલા;
મનડું અધીર મારું, ધીરજ નવ ધરે વાલા.
આંગલું તો અંગ શોભે, રંગનું રસીલું વાલા;
અધર મધુર મોહન, મુખડું હસીલું વાલા.
નાસિકામાં નિર્મળ મોતી, જોતી મોતી જોત વાલા;
કેસરની તો આડો કીધી, શોભે ટપકી સોત વાલા.
આંખલડીમાં અમી ઝરે છે, પ્રેમનો નહિ પાર વાલા;
શશી સૂરજ ઝાંખા પડિયા, તેજનો અંબાર વાલા.
કાને કુંડળ ઝળહળે, શોભામાં શોભાળ વાલા;
હારના શણગાર મધ્યે, મોતિયોની માળ વાલા.
જરકસીની પાગ માથે, કલગીનો તોરો વાલા;
કોટમાં કૌસ્તુભમણિ છે, સોઈયે સોના દોરો વાલા.
કટિમેખળા કર કંકણી, રૂડી રીતે રાજે વાલા;
નેપૂરને નૌતમ પાએ, ઘૂઘરીમાંએ ગાજે વાલા.
અણવટ વિછુઆનો છેલ, બનિયો છંદ વાલા;
મુદ્રા પોંચી કલ્લૈયો ને, બાંધે બાજુબંધ વાલા.
ઝીણી ને પછોડી ખંભે, જરકસીનો જામો વાલા;
સુંથણીની શોભા જોઉં, રહે મોહન મુજ સામો વાલા.
નખ શિખ સુધી રૂપ, નિરખીને તારું વાલા;
અંગમાં ઉમંગ ચઢ્યો, મોહ્યું મનડું મારું વાલા.
બેઉં હતાં તે એક થયાં, અંતર નવ રહ્યો વાલા;
મહા રસ રણછોડે, કેમ જાય કહ્યો વાલા.



સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 247)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદમી, દિલ્હી
- વર્ષ : 1998