krishna ne devkini viday - Pad | RekhtaGujarati

કૃષ્ણને દેવકીની વિદાય

krishna ne devkini viday

ભાલણ ભાલણ
કૃષ્ણને દેવકીની વિદાય
ભાલણ

ધન્ય તે કામિની રે, હરિને જે ધરશે ખોળે;

ઉપનિષદમાંહે તો જોતા, મોટા મુનિ સરખા બોલે. ધન્ય...

ધવરાવી હુલરાવશે રે, સાંઈડું દેશે ગાઢું રે;

સુંદર વદન નિહાળતાં રે, હૈડું થાશે ટાઢું રે. ધન્ય...

આઈ આઈ કહેશે કાલું બોલશે, તે લાગશે મીઠું રે;

મેં તો પાતક પ્રૌઢાં કીધાં જો સુતનું સુખ દીઠું રે. ધન્ય...

પાલણડું હુલરાવતાં, માનિની મંગળ ગાશે રે;

શું કહું તેના મન માંહે તે જોતાં સુખ થાશે રે. ધન્ય...

નાનડિયો સાદ દેતો આવશે, અધરણ અધર તે હસશે રે;

મારા ભાગ્યમાંહે નવ લખિયું, તેને અંતર વસશે રે. ધન્ય...

વિષમ ચરિત્ર વિધાતાનાં, મારે ઘરથી ઓસરિયો રે;

પુત્રજન્મનો આનંદ ઓચ્છવ તેને ઘેર જઈ કરિયો રે. ધન્ય...

તેને ઘેર તોરણ બંધાશે, થાશે અતિ દિવાળી રે;

વેરણ વિધાતાએ શું સરજ્યું, જે હું દુઃખે બાળી રે. ધન્ય...

પાગે વાગે ઘુઘરડી ને, પગલાં ભરશે લટકે રે;

ઉતાવળો આવીને મળશે એને હરિ ત્યાં મટકે રે. ધન્ય...

તે જણ્યા વિના જનની થઈ, મારો ખોળો ઠાલો રે;

રૂપ દેખાડી અભિનવું, મને મૂકી કિમ ચાલો રે. ધન્ય...

પુનરપિ કહેવારે દેખીશું, સુંદર મુખ રઢિયાળું રે;

મેં રાંકે કંઈ નવ ચાલે, પછે આંસુડાં ઢાળું રે. ધન્ય...

એણી પેરે દેવકી ટળવળ્યાં, હરિને હૈયે ચાંપે રે;

પિયુ તણે કર બાલક આપે, ભેથી હૈડું કાંપે રે. ધન્ય...

ભામણડાં માવડી લઈને, લઈ ચાલ્યા વસુદેવ રે,

ભાલણ પ્રભુ રઘુનાથ મૂક્યા, જશોદા ઘેર તતખેવ રે. ધન્ય...

રસપ્રદ તથ્યો

સાંઈડું – ભેટવું તે, આઈ – મા, બા, કહેવારે – કયે વખતે, ભામણડાં – ઓવારણાં

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941