kem puujaa karun, krushna karunaanidhi? akal anand - Pad | RekhtaGujarati

કેમ પૂજા કરું, કૃષ્ણ કરુણાનિધિ? અકળ આનંદ

kem puujaa karun, krushna karunaanidhi? akal anand

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
કેમ પૂજા કરું, કૃષ્ણ કરુણાનિધિ? અકળ આનંદ
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

કેમ પૂજા કરું, કૃષ્ણ કરુણાનિધિ? અકળ આનંદ તે કહ્યો જાયે;

સ્થાવર-જંગમ વિશ્વ વ્યાપી રહ્યો, તે કેશવ કંડિયે ક્યમ સમાયે? તા૦

બાર મેઘે કરી સ્નાન શ્રીપતિ કર્યાં, શંખની ધારે તે કેમ રીઝે?

ઉનપચાસ વાયુ તુંને વ્યંજન કરે, ચમર ઢાળું તે કેમ ગમીજે? તા૦

સૂરજરૂપે કરી ત્રિભુવન તાપવ્યાં, ચંદ્રરૂપે કરીને રે ઠાર્યાં;

મેઘરૂપે કરી વરસ્યા રે, વિઠ્ઠલા! વાયુરૂપે કરીને વધાર્યા. તા૦

અઢાર ભાર વનસ્પતિ અહર્નિશ પીમળે, માળી તે પાતરી શી રે લાવે?

ચુઆ-ચંદને કરી, પ્રભુ! તુને પુજીએ, અંગની બહેકની તુલ્ય ના’વે. તા૦

તારે નિત નવનવા નૈવેદ કમળા કરે, સૂક્ષ્મ નૈવેદ કેમ તુલ્ય આવે?

ભણે નરસૈંયો : જેણે કૃષ્ણરસ ચાખિયો, (તે) પુનરપિ માતને ગર્ભ ના'વે. તા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994