કાયાથી જીવ ન્યારો રે
kaayaathii jiiv nyaaro re
મંજુકેશાનંદ સ્વામી
Manjukeshanand Swami

કાયાથી જીવ ન્યારો રે, તેને આત્મા કહીયે;
એને બ્રહ્મ માની રે, હરિને શરણે જૈયે. ટેક૦
ચિદાકાશમાં તેજ પુર મધ્યે, રહે સદા ભગવાન;
એ જ પ્રભુએ કરી ક્રીપા, પધાર્યા ભોમી પર સુખધામ;
એવા તો શ્રીહરિના રે, ભજનમાં ઝુંકી રહીયે. કાયાથી૦
અનંત બ્રહ્માંડમાં વ્યાપક થૈને, ન્યારા રહે પ્રભુ આપ;
એવા નિરંજન શ્રીકૃષ્ણ ભજીએ, તો મીટે સૌ સંતાપ;
માટે નારાયણનું રે, નામ સ્હજ તો લૈયે; કાયાથી૦
બ્રહ્મરૂપને જાણ્યા વિના, કહે જગત છે બ્રહ્મ;
જીવ ઈશ્વર ને પુરુષોત્તમનો, મૂઢ ન જાણે મર્મ;
માટે ઉપમા રે, પામરને શી દઈયે? કાયાથી૦
અનંત બ્રહ્માંડને સમજાવે, પ્રલે નાશ કરે પ્રભુ એક;
મંજુકેશાનંદ કહે માટે, કરવો સંત વિવેક;
પ્રભુ ભજીને રે, પરમ આનંદ પામે. કાયાથી૦



સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 298)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998