kaayaathii jiiv nyaaro re - Pad | RekhtaGujarati

કાયાથી જીવ ન્યારો રે

kaayaathii jiiv nyaaro re

મંજુકેશાનંદ સ્વામી મંજુકેશાનંદ સ્વામી
કાયાથી જીવ ન્યારો રે
મંજુકેશાનંદ સ્વામી

કાયાથી જીવ ન્યારો રે, તેને આત્મા કહીયે;

એને બ્રહ્મ માની રે, હરિને શરણે જૈયે. ટેક૦

ચિદાકાશમાં તેજ પુર મધ્યે, રહે સદા ભગવાન;

પ્રભુએ કરી ક્રીપા, પધાર્યા ભોમી પર સુખધામ;

એવા તો શ્રીહરિના રે, ભજનમાં ઝુંકી રહીયે. કાયાથી૦

અનંત બ્રહ્માંડમાં વ્યાપક થૈને, ન્યારા રહે પ્રભુ આપ;

એવા નિરંજન શ્રીકૃષ્ણ ભજીએ, તો મીટે સૌ સંતાપ;

માટે નારાયણનું રે, નામ સ્હજ તો લૈયે; કાયાથી૦

બ્રહ્મરૂપને જાણ્યા વિના, કહે જગત છે બ્રહ્મ;

જીવ ઈશ્વર ને પુરુષોત્તમનો, મૂઢ જાણે મર્મ;

માટે ઉપમા રે, પામરને શી દઈયે? કાયાથી૦

અનંત બ્રહ્માંડને સમજાવે, પ્રલે નાશ કરે પ્રભુ એક;

મંજુકેશાનંદ કહે માટે, કરવો સંત વિવેક;

પ્રભુ ભજીને રે, પરમ આનંદ પામે. કાયાથી૦

સ્રોત

  • પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 298)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 1998