kaayaa jiivne kahe chhe - Pad | RekhtaGujarati

કાયા જીવને કહે છે

kaayaa jiivne kahe chhe

નારણસિંગ નારણસિંગ
કાયા જીવને કહે છે
નારણસિંગ

કાયા જીવને કહે છે રે, સુણોને મારા પ્રાણપતિ,

મેલી મુજને ક્યાં જાશો રે, વગડામાં અથડાતી?... કાયા૦

જીવ તમારા લીધે રે, ચાલું છું હું મદમાતી,

તમ વિના નહિ મારે રે, દેહીના સંઘાતી... કાયા૦

જ્યારે તમે જાશો રે, ત્યારે તો મારી શી રે ગતિ?

જ્યારે જવું હતું રે, ત્યારે પ્રીત કરવી ન્હોતી !... કાયા૦

ઘણાં લાડ લડાવ્યાં રે, ભેગી બેસી જમતી હતી,

હવે કેમ તરછોડી રે? આવી કેમ ફરી મતિ !... કાયા૦

કોઈક ગુરુજન મળિયા રે, અગમ અગાધ મતિ,

કરશે બ્રહ્મસ્વરૂપે રે, એવું હું જાણતી ન્હોતી... કાયા૦

છો દેવ નિરંજન રે, મૂળે મંગળ મૂરતિ,

તારો ભેદ જાણ્યો રે, એવી તારી અકળ ગતિ... કાયા૦

મારી કરણી જોશો રે, હું કર જોડી કરગરતી,

મેલી માયાને ચૈતન્ય રે, ચાલ્યા અમરાવતી... કાયા૦

દાસ 'નારણસિંગ' ભજશે રે, થશે તેની સત્ય ગતિ... કાયા૦

સ્રોત

  • પુસ્તક : પરિચિત પદસંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 189)
  • પ્રકાશક : સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય
  • વર્ષ : 1946
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ