je koi premansh avatare - Pad | RekhtaGujarati

જે કોઈ પ્રેમઅંશ અવતરે

je koi premansh avatare

દયારામ દયારામ
જે કોઈ પ્રેમઅંશ અવતરે
દયારામ

જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે. ટેક

સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ-સુતને જરે;

કનકપાત્ર પાખે સહુ ધાતુ ફોડીને નીસરે. પ્રેમરસ...

સક્કરખોરનું સાકર જીવન ખરના પ્રાણ હરે;

ક્ષારસિંધુનું માછલડું જ્યમ મીઠા જળમાં મરે. પ્રેમરસ...

સોમવેલીરસ-પાન શુદ્ધ જે બ્રાહ્મણ હોય તે કરે;

વગરવંશીને વમન કરાવે, વેદવાણી ઊચરે. પ્રેમરસ...

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપિ અર્થ ના સરે;

મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે. પ્રેમરસ...

એમ કોટી સાધને પ્રેમ વિના પુરુષોત્તમ પૂંઠ ફરે;

દયા પ્રીતમ શ્રીગોવરધનધર પ્રેમ-ભક્તિએ વરે. પ્રેમરસ...

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941