jalakmal chhanDi ja re, bala! - Pad | RekhtaGujarati

જળકમળ છાંડી જા રે, બાળા!

jalakmal chhanDi ja re, bala!

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જળકમળ છાંડી જા રે, બાળા!
નરસિંહ મહેતા

(રાગ પ્રભાતી)

‘જળકમળ છાંડી જા રે, બાળા! સ્વામી અમારો જાગશે;

જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે, બાળક! તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવિયો ?

નિશ્ચે તારો કાળ ખૂટયો, અહીંયાં તે શીદ આવિયો?'

‘નથી, નાગણ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;

મથુરાનગરીમાં જુગટું રમતાં નાગનું શીશ હું હારિયો.’ 3

‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;

તારી માતાએ કેટલા જન્મ્યા, તેમાં તું અળખામણો?'

‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નાનડો;

જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.’

‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો;

એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.'

‘શું કરું, નાગણ! હાર તારો? શું કરું તારો દોરિચો?

શાને કાજે, નાગણ! તારે કરવી ઘરમાં ચોરીઓ?'

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:

‘ઊઠો રે, બળવંત કોઈ બારણે બાળક આવિયો.'

બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાથ નાથિયો;

સહસ્ર ફેણા ફૂંફવે. જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સહુ વિલાપ કરે છેઃ નાગને બહુ દુઃખ આપશે;

મથુરાનગરીમાં લઈ જશે, પછે નાગનું શીશ કાપશે. ૧૦

બેઉ કર જોડીને વીનવેઃ ‘સ્વામી! મૂકો અમારા કંથને;

અમો અપરાધી કાંઈ સમજ્યાં, ઓળખ્યા ભગવંતને.’ ૧૧

થાળ ભરી શગ મોતીએ શ્રીકૃષ્ણને રે વધાવિયા,

નરસૈંયાના નાથ પાસેથી નાગણે નાથ છોડાવિયા. ૧ર

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997