jagine joun to - Pad | RekhtaGujarati

જાગીને જોઉં તો

jagine joun to

નરસિંહ મહેતા નરસિંહ મહેતા
જાગીને જોઉં તો
નરસિંહ મહેતા

(રાગ કેદારો)

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. જા૦

પંચમહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુમાંહી રહ્યા રે વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી. જા૦

વેદ તો અમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દેઃ કનકકુંડળવિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. જા૦

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;

ભણે નરસૈંયો ’એ તે તું,’ ‘એ તે તું,’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા. જા૦

સ્રોત

  • પુસ્તક : નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ
  • સંપાદક : શીવલાલ જેસલપુરા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1997