tyag na take re - Pad | RekhtaGujarati

ત્યાગ ન ટકે રે

tyag na take re

નિષ્કુળાનંદ નિષ્કુળાનંદ
ત્યાગ ન ટકે રે
નિષ્કુળાનંદ

ત્યાગ ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાયજી;

અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાયજી. ત્યાગ૦

વેષ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂરજી;

ઉપર વેષ આછો બન્યો, માંહિ મોહ ભરપૂરજી. ત્યાગ૦

કામ-કોધ-લોભ-મોહનું, જ્યાં લગી મૂળ જાયજી;

સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાયજી. ત્યાગ૦

ઉષ્ણરતે અવની વિષે, બીજ નવ દિસે બહારજી;

ઘન વરસે વન પાંગરે, ઇંદ્રિ વિષય આકારજી. ત્યાગ૦

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષયસંજોગજી;

અણભેટે રે અભાવ છે, ભેટે ભોગવશે ભોગજી. ત્યાગ૦

ઉપર તજે ને અંતર ભજે, એમ સરે અરથજી;

વણસ્યો રે વર્ણાશ્રમથકી, અંતે કરશે અનરથજી. ત્યાગ૦

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધજી;

ગયું ધૃત મહિ માંખણ થકી, આપે થયું રે અશુદ્ધજી. ત્યાગ૦

પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહીને ત્યાગજી;

નિષ્કુળાનંદ નરનો, વણ સમજ્યો વૈરાગજી, ત્યાગ૦

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ, હીરા રામનારાયણ પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981