દયારામ
Dayaram
હરિ તુને પ્રસંન તે ક્યમ થાયે,
તારા મનનું કપટ ન જાય;
તારા દિલનો છળ નવ જાય,
પ્રભુ તને પ્રસંન તે કેમ થાય. ટેકo
હરિકીર્તન હરિનામ રટણમાં,
અતિસેં આળસ તારે;
ડાચાકૂટ લવ પરનિંદામાં,
આખો દિવસ ન હારે. હરિo
પ્રભુનું પૂજન કરતી વેળા,
કાયા તાકી કંપે;
ગંજીફો સોકટાં કૂટતાં,
આઠે પહોર ન ઝંપે. હરિo
પ્રભુનું ચંદન નવ ઘસાય,
તુજ શ્રમથી શરીર બગડે;
કૂંડી કૂતકે મરી મસાલે,
ભાવે ભાંગ તું રગડે. હરિo
એકાદશી ઓચ્છવનું જાગરણ,
અતિ અઘરું તે લાગે;
ભવાઈ કે ગુણકાનૃત્ય જોવા,
જામિની આખી જાગે. હરિo
બે પૈસાની ગુરુ સેવા બતાવે,
ત્યાં ગણગણતું બોલે;
ઘરની સ્ત્રી સહેજ માગે ઘરેણું,
ત્યારે હરખમગન થઈ ડોલે. હરિo
ખોટાં મોતી કાચ કીડિયાં,
ભગવત ભૂષણ ઘાલે;
સોનું રૂપું મણિ મુક્તા વિના,
સ્ત્રી સુતને ના ચાલે. હરિo
હરિના ભક્તને લૂખું સૂકું,
વેઠ વળગી હોય જાણે;
સગાં સંબંધી ઘેર પરોણા આવે,
મિષ્ટાન્ન પીરસે ભાણે. હરિo
જગ દેખે ત્યાં જગને બેસે,
બાકી ના’ય ના ખાવા;
ગળાં કાપે ક્યમ થાએ ગળગળો,
એ વૈષ્ણવતા વાહવા. હરિo
આ કરવું આ ના કરવું,
એમ સહુને શિક્ષા દે છે;
તેમાંનુ તું કાંઈ નથી કરતો,
અનુચિત કર્મ કરે છે. હરિo
અંતરનો છળ અન્ય ન લેહે,
પણ જાણે અંતરજામી;
એ તો સાચાના સંગી છે,
દાસ દયાના સ્વામી. હરિo
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 99)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન સાહિત્ય મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
